જામનગરના સુભાષ બ્રિજ પરથી વૃઘ્ધની મોતની છલાંગ

  • February 15, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનસિક અસ્થિરતાના કારણે કંટાળી જઈ કૂદકો માર્યો : સારવારમાં મૃત્યુ

જામનગરના સુભાષબ્રીજ પરથી ગત તા. ૧૨ના રોજ સોની વૃઘ્ધે છલાંગ લગાવી હતી આથી તેઓને જી.જી. હોસ્પીટલ સારવારમાં ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું. માનસીક અસ્થીરતાના કારણે ચિંતામા રહેતા હતા દરમ્યાનમાં પગલુ ભરી લીધાનું જાહેર થયું છે.
જામનગરની ગાજર ફળી વિસ્તારમાં શરણમ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૧૦ માં રહેતા અને સોની કામ કરતા અનિલભાઈ શાંતિલાલ ભુવા નામના ૫૪ વર્ષના આધેડે પોતાની છેલ્લા ૧૫ વર્ષની માનસિક બિમારી હોય અને છેલ્લા દસેક દિવસથી કોઇ કારણસર ચિંતામાં રહેતા હતા, દરમ્યાન પુલ પરથી કુદકો માર્યો હતો.
 તેઓ ગત ૧૨મી તારીખે પોતાના ઘેરથી બાલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા પછી સુભાષ બ્રિજ પરથી છલાંગ લગાવી દેતાં તેનું  જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌરવ અનિલભાઈ ભુવાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ વાળાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
જાંબુડા નજીક રાહદારી યુવાનનું બાઇકની ઠોકરે મૃત્યુ

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ચાલીને જઈ રહેલા એક યુવાનને પુર ઝડપે આવી રહેલા બાઇકના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મૂળ ઓરિસ્સાનો વતની અને હાલ જામનગરના વેપારી પ્રવીણભાઈ ગોરધનભાઈ જીવાણીની દેવ માર્બલ એન્ડ ટાઇલ્સ નામની કંપનીમાં મજૂરી કામ કરતો ૪૩ વર્ષનો પરપ્રાંતીય યુવાન ગત શુક્રવારે જાંબુડા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલા જીજે ૧૦-સીઆર-૯૧૪૮ નંબરના બાઈકના ચાલક પ્રકાશ હમીરભાઈ પરમારે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે દેવ માર્બલના સંચાલક પ્રવીણભાઈ જીવાણીએ બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયાએ બાઈક ચાલક પ્રકાશ પરમાર સામે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application