ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીના કારણે યુવાઓને મોટો ઝટકો, ભારતીય વિદ્યાર્થીઓનું કેનેડા સરકાર સામે વિરોધ પ્રદર્શન

  • August 28, 2024 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં 40% વિદ્યાર્થીઓ ઈન્ડિયાના છે. સ્ટુડન્ટ વિઝા લઈને કેનેડામાં રહેવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીના કારણે મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે, પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે. ત્યાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. તો આજે આપજાણીએ કે, અંતે કેનેડામાં આટલા ભારતીય વિદ્યાર્થીઓ કેમ જાય છે.



નોંધનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે કેનેડામાં ઓછા વેતન વાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેમની જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, જો આપણે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધીમાં 9,00,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. હવે 2024ના અંત સુધીમાં 5,00,000 કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી.



છેતરાઈ ગયાની લાગણી



કેનેડાની સરકાર અત્યાર સુધી કહેતી આવી છે કે, ઈમિગ્રન્ટ્સને અહીં લાવવાનું એક મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું છે. જો કે, હવે પોલિસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ પોતાને ઠગી લેવાયા હોય તેવું અનુભવી રહ્યા છે. ઈમિગ્રેશનનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહેકદીપ સિંહે જણાવ્યું કે, મેં કેનેડા આવવા માટે છ વર્ષનું જોખમ લીધું હતું. મેં અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચુકવણી કરી અને કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)માં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવીને પોલિસી બદલી નાંખી છે. અમને છેતરાઈ ગયાની લાગણી થઈ રહી છે.  



પહેલાથી જ આવાસની સમસ્યા



જણાવી દઈએ કે, કેનેડામાં વિદ્યાર્થીઓ પહેલાથી જ આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવાસ સમસ્યાને લઈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ભારે હોબાળો મચ્યો હતો. અહીં આવાસનું બાંધકામ ખૂબ જ ઓછું છે અને રેકોર્ડ-ઊંચા વ્યાજ દરોએ નવા હાઉસિંગ એકમોને સામાન્ય કેનેડિયનો અને નવા ઈમિગ્રન્ટ્સની પહોંચની બહાર કરી દીધા છે. જો નોકરીની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલાથી જ પાર્ટ ટાઈમ જોબનું સંકટ છે. અહીં પહેલાથી જ વિદેશી વિદ્યાર્થીઓ આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહી રહ્યા છે. હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે અઘરું સાબિત થશે. 



તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની ગોળી મારીને હત્યા અને ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચારે પણ ભારતીય વિદ્યાર્થીઓનું મનોબળ તોડી નાખ્યું છે. વિદેશ મંત્રીએ પણ ચિરાગ અંતિલના મામલે નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીની માગ કરી હતી. હવે નવી પોલિસીથી ટ્રુડો સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અહીં શિક્ષણ, નોકરી કે નાગરિકતા મેળવવી મુશ્કેલ બનશે.



દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ જાય છે કેનેડા



વાસ્તવમાં કેનેડા જવાનું સાચું કારણ માત્ર શિક્ષણ નથી. આવું એટલા માટે કારણ કે, સ્ટુડન્ટ વિઝા એ કેનેડા જવાનો એક સરળ રસ્તો છે અને પછી ત્યાં સ્થાયી નિવાસ અને નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખુલી જાય છે. વિદેશી નાગરિકો સ્ટુડન્ટ વિઝા દ્વારા સરળતાથી કેનેડામાં પ્રવેશી શકે છે. કેનેડામાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભારતીયો છે. કેનેડામાં એક રીતે મિની ઈન્ડિયા વસે છે. 



40% ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ભારતના


કેનેડા સરકારના ડેટા પ્રમાણે વર્ષ 2022માં કુલ 5.5 લાખ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓમાંથી 2.26 લાખ વિદ્યાર્થીઓ ભારતના હતા. આ કુલ વિદ્યાર્થીઓના 40% છે. આ પહેલા 3.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટેલ કે બેઝમેન્ટમાં રહી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application