જામનગરમાં કૂતરાઓનો આતંક: વધુ ૨૫ લોકોને કરડ્યા

  • January 02, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ૧૧ મહિનામાં ૮૫૭૪ લોકોને કૂતરાના બચકાં: કોર્પોરેશનની ખસ્સીકરણની કામગીરી ક્યારે? લોકોમાં પ્રશ્ર્ન: પંચવટી, પટેલ કોલોની, સાધના કોલોની, ઈવા પાર્ક, ગાંધીનગર, રણજીત રોડ, રણજીતનગર, નવાગામ, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં કૂતરાઓના ત્રાસથી લોકો ત્રાહિ-ત્રાહિ

જામનગર શહેરમાં કૂતરાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કોર્પોરેશન નક્કર પગલાં લેતું નથી અને કૂતરા નહીં પકડવાનું બહાનું બતાવે છે! પૂર્વ કેન્દ્રિય મેનકા ગાંધીએ પશુ-પક્ષીઓને બચાવવા માટે થોડાં વર્ષો પહેલંા અભિયાન હાથ ધર્યું હતું પરંતુ જામનગરમાં કૂતરા પકડવાનું અભિયાન સુરતની જેમ શરુ કરવાની જરુર છે. સ્ટેન્ડિંગ કમિટિએ કૂતરાઓનો ખસ્સીકરણ માટે લાખો રુપિયા મંજૂર કર્યા છે પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ થતી હોય તેમ લાગે છે. ગઈકાલે પંચવટી, ગૌશાળા, પટેલ કોલોની સહિતના કેટલાંક વિસ્તારોમાં કૂતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો અને દિવસ દરમિયાન રપ જેટલાં લોકોને કૂતરા કરડ્યાં હોવાનું બિન સત્તાવાર જાણવા મળ્યું છે.
જેમ રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે તેમ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કૂતરાઓ આતંક મચાવી રહ્યાં છે, ચાલતી બાઈક ઉપર કૂદકો મારીને બાઈક ચાલકને બચકાં ભરી લેવાના અનેક બનાવો બન્યા છે. એવરેજ ૩૦થી ૩પ લોકોની કૂતરા કરડી ખાય છે. થોડાં સમય પહેલાં પાંચ દિવસમાં ૧૭૯ લોકોને કૂતરા કરડ્યા હતાં. એટલું જ નહીં બે વર્ષની માસૂમ બાળકીને કૂતરાએ લોહી લોહાણ કરી હતી.
પ્રશ્ર્ન એ થાય છે કે, સ્ટેન્ડિંગ કમિટિએ કૂતરાઓના ખસ્સીકરણ માટે લાખોની રકમ મંજૂર કરી છે તેવી મોટા ઉપાડે જાહેરાત કરી છે, પરંતુ જામનગરવાસીઓને જઈને પૂછો તો ખરા કૂતરાઓનો ત્રાસ કેવો છે? ડિસેમ્બરમાં પાંચ દી’માં ૧૦૦ લોકોને કૂતરા કરડ્યા હતાં. જો કે, મહિનાનો આંકડો આવવો બાકી છે, પરંતુ વર્ષ આખાની વાત કરીએ તો સત્તાવાર રીતે જીજી હૉસ્પિટલના આંકડા જોઈએ તો જાન્યુ.માં ૮૩૭, ફેબ્રુ.માં ૮૩૪, માર્ચમાં ૮૧૭, એપ્રિલમાં ૭૯૧, મે ૮૦૪, જૂન ૬૮૯, જુલાઈ ૩૫૪, ઓગસ્ટ ૮૩૭, સપ્ટે. ૮૬૧, ઓકટો. ૮૪૬ અને નવેમ્બરમાં ૯૦૪ લોકોને કૂતરા કરડ્યા છે.
૧૧ મહિનાની વાત કરીએ તો જામનગરના અલગ અલગ વિસ્તારમાં મળીને કુલ ૧૧ મહિનામાં ૮૫૭૪ જેટલાં લોકોને કૂતરાઓએ બચકાં ભર્યા છે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી હોય એ તો અલગ! અને ડિસેમ્બરના આંકડામાં પણ લગભગ ૮૦૦થી ૯૦૦ જેટલો વધારો થાય તેવી સંભાવના છે.
જાન્યુ.ર૦ર૪ શરુ થઈ ચૂક્યું છે, કૂતરાઓએ પોતાનો પોત પ્રકાશવું ચાલુ રાખ્યું છે અને માત્ર બે દી’માં પ૦થી વધુ લોકોને કૂતરાઓએ બચકાં ભર્યા છે.
લોકોને આ ત્રાસમાંથી છોડાવવા કોર્પોરેશને પગલાં લેવા જોઈએ, લોકો એટલાં ગભરાઈ ગયાં છે કે બાળકોને ઘરની બહાર જવા દેતાં નથી. વૃદ્ધો મંદિરે જાય તો કૂતરાઓ તેમને બચકાં ભરી લે છે.મહાપાલિકાના પદાધિકારી-અધિકારીઓ ગંભીરતાથી વિચારે તેવું નવાનગર વાસીઓનું કહવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application