જામનગરમાં લોહાણા સમાજની માંગ: અપશબ્દ બોલનારા સામે કડક પગલા લ્યો

  • January 06, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમસ્ત હાલાર લોહાણા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું : પ્રમુખ જીતુલાલની આગેવાનીમાં રઘુવંશીઓ ઉમટી પડયા : સમાજની લાગણી દુભાઇ હોવાની વ્યથા આવેદનપત્રમાં અપાઇ

જામનગરમાં ધંધાકીય બાબતની ઉઘરાણીના પ્રશ્ર્ને પોરબંદરના એક વેપારી સાથે વાતચીત દરમ્યાન લોહાણા સમાજને લઇને અભદ્ર અને ઉગ્ર વાણી વિલાસ કરતા તેની વાતચીતનો ઓડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ જામનગર, ખંભાળીયા, દ્વારકા, સલાયા સહિતના ગામોમાં લોહાણા સમાજમાં ઉગ્ર રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે, તમામ સ્થળોએ મીટીંગો પણ મળી છે અને આજે સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ અને જાણીતા વેપારી અગ્રણી જીતુભાઇ લાલની આગેવાની હેઠળ આ મામલે કડક પગલા લેવાની માંગણી કરતું એક આવેદન પત્ર આજે જીલ્લા કલેકટરને આપ્યુ હતું જેમાં તાત્કાલીક અસરથી લોહાણા સમાજની લાગણી દુભાઇ હોય અને જામનગરના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્રમાં જણાવાયુ હતું કે જામનગરમાં જોગર્સ પાર્ક પાસે રાજલક્ષ્મી બેકરી ચલાવતા મનોજ (મનુભાઇ) ખેતવાણીએ પોરબંદરના અનુગ્રહ બેકરી (એમ.જી.રોડ - પોરબંદર)ના સંચાલક તન્મય લલીતભાઇ કારીયાને ધંધાકીય નાણાની લેવડ દેવડના મામલે ટેલીફોન પરની વાતચીત દરમ્યાન એ વેપારી તન્મય કારીયા ઉપરાંત લોહાણા સમાજને માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને બેફામ અપશબ્દનો ઉલ્લેખ કર્યો છે, આ વાતચીતની ઓડીયો કિલપ સોશ્યલ મિડીયામાં પણ વાયરલ થતા સમસ્ત લોહાણા સમાજની લાગણી દુભાઇ છે અને આ ભાષા વાપરનાર જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજ (મનુભાઇ) ખેતવાણી તથા તેના પુત્ર હર્ષ મનોજ ખેતવાણી સામે ઉગ્ર રોષની લાગણી પ્રસરી છે.
આ સમગ્ર મામલે પોરબંદરના બેકરી સંચાલક તન્મય કારીયાએ પોરબંદર પોલીસને તા. ૩ જાન્યુઆરીના રોજ લેખીત ફરીયાદ અરજી પણ કરી છે, આ મામલે સમસ્ત હાલાર લોહાણા સમાજ પણ અત્યંત આઘાતની લાગણી સાથે દુ:ખની લાગણી વ્યકત કરે છે અને સમસ્ત લોહાણા સમાજની લાગણી દુભાય તેવો અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર જામનગરના મનોજભાઇ (મનુભાઇ) ખેતવાણી તથા અન્ય જે કોઇ આ ગંભીર બાબતમાં સંડોવાયેલ હોય તે તમામની સામે કાયદેસરની કડક કાર્યવાહી સત્વરે થાય તેવી માંગણી પણ કરી હતી.
આ આવેદનપત્ર આપતી વખતે પ્રમુખ જીતેન્દ્ર એચ. લાલ (જીતુલાલ), લોહાણા સમાજના અગ્રણી અશોકભાઇ લાલ, ઉપપ્રમુખ ભરતભાઇ મોદી, ઉપપ્રમુખ અરવિંદભાઇ પાબારી, ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, ઉપપ્રમુખ તુલસીદાસભાઇ ભાયાણી, ઉપપ્રમુખ મૌલીકભાઇ નથવાણી, મહામંત્રી રમેશભાઇ દતાણી, મંત્રી ભાવીનભાઇ અનડકટ, મંત્રી પ્રફુલભાઇ ભગત, સહમંત્રી ભરતભાઇ ઠકરાર, સહમંત્રી દીપકભાઇ રુપારેલ, સહમંત્રી અશોકભાઇ વર્મા, સંગઠનમંત્રી ગીરીશભાઇ ગણાત્રા, પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઇ સુખપરીયા,  ખજાનચી નિર્મલભાઇ સામાણી, ઓડીટર બાબુભાઇ બદીયાણી, દિનેશભાઇ મારફતીયા, ધીરુભાઇ કારીયા, નિલેશ કાનાણી, વિશાલ મોદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.
આ ઉપરાંત ખંભાળીયામાં પણ લોહાણા સમાજ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, ગઇકાલે રઘુવંશી જ્ઞાતીના વિવિધ મંડળો એકત્ર થયા હતા અને આ મુદે ઉગ્ર વિરોધ સાથે સેવાભાવી અને રઘુવંશી યુવા ગ્રુપ વતી હાર્દિક સુભાષભાઇ મોટાણી દ્વારા ખંભાળીયાના પોલીસ મથકમાં ગુરુવારે લેખીત અરજી આપી છે અને જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે, દ્વારકામાં પણ સમગ્ર રઘુવંશી સમાજને ગાળો આપનાર સામે ઉગ્ર રોષ વ્યકત કરી પગલા લેવા માંગણી કરી છે. જયારે સલાયા, સિકકા, કલ્યાણપુર, ઓખા, મીઠાપુર સહિતના  વિસ્તારોમાં અને ગામોમાં લોહાણા સમાજે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application