ચોટીલાના સિધ્ધનાથ કોટેક્ષના કરોડોના કૌભાંડમાં રાજકોટના પાંચ સામે ગુનો

  • September 13, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાના થાનગઢ રોડ પર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનીંગ મીલના સંચાલકોએ વેપારીઓ, ખેડુતો અને કામદારોના પણ નાણાં નહીં ચુકવી કરોડોના આચરેલા કૌભાંડમાં અંતે ચોટીલા પોલીેસે કૌભાંડ સંદર્ભે સ્પીનીંગ મીલના સંચાલકો રાજકોટમાં રહેતા સુરેશ ગોવિંદભાઈ લુણાગરીયા, તેના પુત્ર હીરેન ઉપરાંત રમણીક ચકુભાઈ ભાલાળા, રમણીકના પુત્ર દર્શન તથા અતુલ પટેલ સામે છેતરપીંડી વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ગુનો નોંધ્યો છે.
સિધ્ધનાથ કોટેક્ષમાં આરોપીઓએ ખેડુતો અને વેપારીઓ પાસેથી કરોડોના મોઢે કપાસની ઉધારમાં ખરીદી કરી હતી. મોટો વહીવટ અને ભપકો ધરાવતા આ સ્પીનીંગ મીલના વિશ્ર્વાસમાં આવી ગયેલા ચોટીલા તાલુકા તેમજ આસપાસના વિસ્તારના ખેડુતોએ સ્પીનીંગ મીલમાં કરોડોનો કપાસનો જથ્થો ઠલવી દીધો હતો. કપાસની ખરીદી કરીને પેમેન્ટની તારીખો અને વાયદા અપાયા હતા. જે મુજબ ખેડુતો તથા વેપારીઓએ સ્પીનીંગ મીલમાં ઉધાર આપેલા કરોડોના કપાસની ઉઘરાણી શરૂ કરી હતી. શરૂઆતમાં સંચાલકો દ્રારા વાયદા કરાયા હતા. દરમિયાનમાં અચાનક સ્પીનીંગ મીલને રાતોરાત તાળા મારીને સંચાલકો ઉચાળા ભરી ગયા હતા.
સ્પીનીંગ મીલમાં કામ કરતા ૩૦૦થી વધુ કામદારોને પણ તેના પગાર કે વળતર ચુકવાયા ન હતા. કરોડોનું કારસ્તાન કરીને રાતોરાત સિધ્ધનાથ કોટેક્ષ સ્પીનીંગ મીલને તાળા લાગી જતાં અનેક ખેડુતો, વેપારીઓ અને કામદારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. મીલ બહાર દેખાવો કરાયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો. ૨૦ દિવસ પુર્વે આ મીલ અચાનક બધં થઈ ગઈ હતી. છેતરાયેલા વેપારીઓ, ખેડુતો દ્રારા ચોટીલા પોલીસ ઉપરાંત સુરેન્દ્રનગર એસપી સહિત ઉચ્ચસ્તરે રજુઆતો કરાઈ હતી. તે સંદર્ભે એસપી ડો. ગીરીશ પંડયાની સુચનાના આધારે ડીવાયએસપી વી.એમ.રબારીએ પ્રાથમીક તપાસ કરી હતી.
તપાસના અંતે ચોટીલા પોલીસ મથકમાં રાજકોટના રહેવાસી પિતા–પુત્રો સહિત પાંચ શખસો સામે ગુનો નોંધાયો છે. જેમાં ફરિયાદી ચોટીલાના ઘાંચીવાડમાં રહેતા મનસુરભાઈ અબ્દુલભાઈ કલાડીયાએ નોંધાવેલી ફરિયાદમાં સિધ્ધનાથ કોટેક્ષ મીલમાં પોતાની ખેતીની ઉપજના આશરે ૬૦૫ મણ ઉપરાંત અન્ય પરિચીત ખેડુતોનો મળી ૨,૯૮,૨૩,૧૭૮નો કપાસ આ મીલમાં વેચાણે આપ્યો હતો જેની રકમ આરોપીઓએ ચુકવી ન હોય વાયદાઓ કર્યા હતા. જે દિવસે પેમેન્ટ ચુકવવાનું હતું ત્યારે આરોપીઓ મીલને તાળા મારીને નાસી ગયા હતા. ફરિયાદના આરોપના આધારે ગુનો નોંધીને પીઆઈ આઈ.બી.વલવીએ તપાસ હાથ ધરી છે.


મિલના કૌભાંડમાં મોટામાથાઓ પણ સંડોવાયેલા હોવાની ચર્ચા
સિધ્ધનાથ કોટેક્ષ મીલના કરોડોના કૌભાંડમાં રાજકોટના રહેવાસી પાંચ શખસો સામે અંતે ૨૦ દિવસ બાદ ગુનો નોંધાયો છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આ મીલ સાથે રાજકોટના અન્ય કેટલાક મોટામાથાઓને પણ જોડાણ હતું. પડદા પાછળ તેઓ મુખ્ય ભુમીકામાં હતા. કરોડોનો કપાસનો જથ્થો ગાંસડીઓ વિદેશમાં સપ્લાય થઈ હતી અને માલની ગુણવતાના કારણે કે અન્ય કોઈ કારણોસર માલ ફસાયો હતો તેના કારણે મીલ કરોડોમાં કાચી પડતા રાતોરાત તાળા લાગી ગયા હતા. રાજકોટના જમીન–મકાન તેમજ અન્ય ધંધા ધરાવતા ધંધાર્થીઓ પણ આ મીલ કાચી પડતા ફસાયા હોવાની ચર્ચા છે. હજુ આવું કઈં ઓનપેપર ખુલ્યું નથી. જેથી હાલ ચર્ચા જેવું ચાલી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application