જામનગરમાં ચૂંટણી લડવા કોંગ્રેસ પ્રજા પાસે માંગશે આર્થિક સહયોગ

  • March 22, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમેદવાર જાહેર થયેલા જે.પી. મારવીયા સહિતના કોંગ્રી અગ્રણીઓએ આજકાલની લીધી શુભેચ્છા મુલાકાત: મોંઘવારી, બેકારી, ઇંધણના બેકાબુ ભાવ અને ખેડૂતોના પ્રશ્ર્નને મુખ્ય મુદ્દો બનાવીને કોંગ્રેસ ચૂંટણી લડશે: જામનગર માટે નવું એરપોર્ટ જરુરી હોવાનું કહ્યું: ૧૪ વર્ષ બાદ પાટીદાર સમાજના યુવાનને તક મળી છે, જે અમે ઝડપી લેશું: આમ આદમી પાર્ટી સાથે સહયોગ કરીને રણનીતિ ઘડાશે: દરેક વિધાનસભા પ્રમાણે અલગ વ્યૂહરચના તૈયાર કરશું

દેશનું મુખ્ય વિપક્ષ આર્થિક સંકટમાં છે, અમારા ખાતા સીઝ કરી નાખવામાં આવ્યા છે, ચૂંટણી લડવામાં અમારી આડે અવરોધ ઉભા કરવામાં આવી રહ્યા છે, અમારી પાસે પૈસા નથી, એટલા માટે જ જામનગર લોકસભાની બેઠકની ચૂંટણી લડવા માટે અમે પ્રજા પાસેથી આર્થિક સહયોગ માંગશુ એવી મહત્વની વાત આજે આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા સહિતની ટીમે કરી હતી અને કહ્યું હતું કે, મોંઘવારી, બેકારી, ઇંધણના બેકાબુ ભાવ અને ખેડૂતોના પ્રશ્ર્નને કેન્દ્રમાં રાખીને તેઓ ચૂંટણી જંગ ખેલશે.
કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના સભ્ય જે.પી. મારવીયાએ મોબાઇલ પર આજકાલના એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી સાથે ચર્ચા કરી હતી, ત્યારબાદ જામનગર આજકાલના નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન) દ્વારા પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા અપાઇ હતી અને ત્યારબાદ ચર્ચા કરી હતી.
જે.પી. મારવીયાએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, શિક્ષણ, ખેડૂતના પ્રશ્ર્નો, રાંધણગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ સહિતના મુદ્દે અમે લોકોનું વચ્ચે જશું, એટલું જ નહીં લોકો પાસેથી મત સાથે આર્થિક મદદ પણ માંગીશુ, આજે કિશાનોને વિજળી નિયમિત મળતી નથી, પાક વિમાની યોજના ખેડૂતોના લાભકારક નથી રહી, ત્યારે માછીમારીનો પ્રશ્ર્ન, યુવાનો માટે રોજગારી, ખેડૂતના અન્ય મુદ્દા, દિલ્હીમાં જે ખેડૂતોનું આંદોલન થયું છે તે વિશે પણ લોકોને માહિતગાર કરીશું.
તેમને વધુમાં કહ્યું હતું કે, જામનગરને નવું અદ્યતન એરપોર્ટ મળે, હાલમાં રન-વે ડીફેન્સનો છે, ત્યારે દિલ્હી, મુંબઇ વચ્ચે વિમાની સેવાની ફીકવન્સી વધુ રહે તે માટે પણ પ્રયાસો કરીશું, ઇન્કમટેક્સની નવી કલમ મુજબ ૪પ દિવસમાં પેમેન્ટ કરવાની વાત છે, તે અંગે પણ યોગ્ય રજૂઆત કરીશું, આગામી દિવસોમાં એક કોર્ડીનેશન કમિટી પણ બનાવીશું, ૭૮ અને ૭૯ વિભાગમાં કોંગ્રેસના અલગ અલગ કાર્યાલયો ખોલીશું.
જામનગરમાં કોર્પોરેશનમાં અમારા કાર્યકરો સક્રિય છે, ત્રણ લોકસભાની પહેલાની વાત કરીએ તો ત્યારે માર્જીન ઓછું હતું, આ વખતે આમ આદમી પાર્ટી સાથે છે એટલે અમને વધુ બેનીફીટ મળશે અને અમે ચૂંટણી લક્ષી રોડ મેપ પણ તૈયાર કરી રહ્યા છીએ, આ ચૂંટણીમાં અમોને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજનો પણ ટેકો મળ્યો છે, ૧૪ વર્ષ બાદ લોકસભામાં કોંગ્રેસ તરફથી પાટીદારને ટીકીટ મળી છે, જે આગામી દિવસોમાં ફાયદાકારક થશે.
તેમને વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના રુપિયા બેંકમાં સીઝ થઇ ગયા છે, આગામી દિવસોમાં તેની કેવી અસર પડશે, એ તો સમય જ કહેશે, ભાજપ વિપક્ષને ખતમ કરવાની તૈયારીમાં છે, એટલે જ અમો આગામી ચૂંટણીમાં લોકો પાસેથી આર્થિક મદદ પણ માંગીશું અને કહ્યું હતું કે, દરેક વિધાનસભા વાઇસ અમે અલગ અલગ વ્યૂહરચના ઘડીશું અને ભાજપ સામે અમે વિશ્ર્વાસ સાથે ચૂંટણી લડીશું.
આ મુલાકાત સમયે કોંગ્રેસના સિનીયર નેતા અને પ્રદેશના અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, રચનાબેન નંદાણીયા, આનંદભાઇ રાઠોડ, આનંદ ગોહિલ, પી.આર. જાડેજા, અરવિંદભાઇ ગજેરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત આજકાલના સિનીયર પત્રકાર હિરેન ત્રિવેદી હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application