વક્ફની જમીન પચાવી પાડનારને ત્યાં EDની મોટી કાર્યવાહી, અમદાવાદના કુખ્યાત સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 જગ્યાએ સર્ચ

  • May 06, 2025 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ED (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર અને ખેડા સહિતનાં સ્થળો ઉપર ED દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


અમદાવાદમાં વકફ બોર્ડ સંચાલિત જગ્યા પચાવી પાડી ગેરકાયદેસર દબાણ કરનાર કુખ્યાત ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત અલગ અલગ 10 જગ્યાએ ઇડીએ દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જમાલપુર અને ખેડા સહિતનાં સ્થળો ઉપર ઇડીએ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે.


મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ઇડીએ દરોડા પાડ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા.


નવી સ્કૂલ બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી

વક્ફ બોર્ડે એએમસીને સ્કૂલ માટે આપેલી જમીન પરની સ્કૂલ જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. સલીમખાન સહિતની ટોળકી વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે.


સ્કૂલનું બાંધકામ તોડી ગેરકાયદે દુકાનો ખડકી દીધી

અગાઉ જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી.


2001ના ભૂકંપમાં એએમસીની સ્કૂલ જર્જરિત થતા તકનો ફાયદો લીધો

બાદમાં એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી. 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. આ તકનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડ્યું હતું અને બીજી ઉર્દૂ શાળા બનાવી નહોતી. તે જગ્યા ઉપર 10 દુકાનો બનાવી હતી, જેમાં સલીમખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય 9 દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી. જે ભાડું આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી. સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે.


ટ્રસ્ટની મિલકતમાં આરોપીઓએ ફ્લેટ પણ બનાવી નાખ્યા

સલીમખાન 15 લોકો પાસેથી મકાનના ભાડા પેટેના ગેરકાયદેસર ભાડાં ઉઘરાવે છે. આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણ, મહેબૂબ ખાન તથા અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે.


એટલું જ નહીં 2005થી સલીમ ખાન અને તેમની સાથેના અન્ય ચાર લોકો ભેગા મળીને વકફ બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ન હોવા છતા ટ્રસ્ટની મિલકતના 25થી 30 દુકાનો 200 જેટલા મકાનો જેમાં બે ગેરકાયદેસર 6 માળના ફ્લેટ પણ બનાવ્યા છે, તેનું પણ ભાડું ઉઘરાવે છે. ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે. શાહ બડા કાસિમ ટ્રસ્ટની દાનપેટી છે, જે દાનપેટીમાં દર મહિને 50,000ની આવક થાય છે તે પણ આ લોકો વાપરે છે.


ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ

સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે. 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટી તરીકે વકફ બોર્ડમાં રજૂ કર્યું હતું. વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદ ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ પાંચેય જણાએ ભેગા મળીને ટ્રસ્ટી ન હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application