કાલથી કોળીયાક નિષ્કલંક મહાદેવના મેળાનો પ્રારંભ

  • August 31, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘા તાલુકામાં આવેલ કોળિયાક ગામના સમુદ્રમાં પાંડવોએ સ્થાપિત કરેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આખો શ્રાવણ માસ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ રહે છે.કાલે રવિવારે અને પરમ દિવસે સોમવારે મેળામાં  લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ બાબતને લઈને જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
તા. ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ સાથે તંત્ર કટિબદ્ધ છે. મહાભારતના યુદ્ધ બાદ પાંડવો તેમના સ્વજનો સહિતના અનેક લોકોની હત્યાના કલંકમાંથી મુક્ત થવા ભગવાન કૃષ્ણના કહ્યા મુજબ  ભારતમાં અનેક સ્થળોએ ભ્રમણ કર્યું હતું.ફરતા ફરતા તેઓ કોળિયાકના સમુદ્ર કિનારે આવી પહોંચ્યા હતા અને અત્રે સ્નાન કરતા તેઓ  તેમની ધજા સફેદ થઇ હતી.  અને પાંડવો કલંક મુક્ત થયા હતા.આથી પાંડવોએ અત્રે શિવલિંગની સ્થાપના કરી હતી અને નિષ્કલંક મહાદેવ નામ આપ્યું હતું. પાંડવો જે દિવસે કલંક મુક્ત થયા તે દિવસ શ્રાવણ વદ અમાસનો હતો.જેને ભાદરવી  અમાસ કહે છે.આમ કોળીયાક નિષ્કલંક મહાદેવ  પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી છે. કાલે તારીખ ૧ને રવિવારે સાંજથી લોકમેળો શરૂ થશે.જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે.અને લોકમેળાની આખી રાત મોજ માણશે.બીજા દિવસે સોમવારે સવારે અમાસના દિવસે વહેલી સવારે ભાવનગર રાજવી પરિવારની ધજા નિષ્કલંક દાદાને ચડશે. ત્યારબાદ સમુદ્રમાં પાણી ઉતરી ગયા બાદ લોકોને સમુદ્રમાં સ્નાન કરવા જવા દેવાશે તેમ જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યુ છે. આ વર્ષે શ્રાવણ માસના અંતિમ અને પાંચમા સોમવારે ભાદરવી અમાસનું પર્વ આવ્યુ છે.આથી ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે.શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામશે. લોકો દાન પુણ્ય કરશે.  ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસ મેળામાં સુચારૂ રૂપે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.પાર્કિંગ ,પોલીસ બંદોબસ્ત,એસ. ટી.,લાઈટ,જાહેરાત માટે માઈક,આરોગ્ય સુવિધા,પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.,બચાવ માટે બોટ,ફાયર ફાઇટર,એમ્બ્યુલન્સ વગેરે તહેનાત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application