સીદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે ૧૮.૩૬ લાખની છેતરપીંડી

  • March 01, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮૨ સોનાની હુંડી પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યો: રાજકોટના શખ્સ, મહિલા સહિત ૬ સામે ફરીયાદ

સીદસર ઉમિયા માતાજી મંદિર સાથે ૧૮.૩૬ લાખની છેતરપીંડી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, સોનાનું દાન કરી ઘ્વજા ચડાવવા વિશ્ર્વાસ આપી અને ૮૨ સોનાની હુંડી પુજા માટે લઇ ગયા હતા અને એ પછી આ હુંડીઓ પરત નહીં આપીને છેતરપીંડી આચરતા રાજકોટના શખ્સ સહિત છ સામે જામજોધપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.
જાણવા મળતી વિગત મુજબ જામજોધપુરના તિરુપતી સોસાયટી યુનિક પાર્કમાં રહેતા અને સિદસર મંદિર કારોબરી સભ્ય તરીકે સેવા આપતા ભરત ગોવિંદભાઇ માકડીયા (ઉ.વ.૫૪)એ ગઇકાલે જામજોધપુર પોલીસમાં રાજકોટના બાપા સીતારામ ચોક, ઇસ્ગર રેસીડેન્સી બ્લોક નં. ૫૭ ખાતે રહેતા બીઝનેશ કરતા ભરત રણછોડ કણસાગરા તથા તેની સાથેના ૪ અજાણ્યા પુરુષ અને એક મહિલા મળી કુલ ૬ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના કારોબારી સભ્ય હોય દરમ્યાન આ મંદિરમાં ભરત કણસાગરા સહિતનાઓએ એક સંપ કરીને ત્યાં આવ્યા હતા અને પોતાને સોનાનું દાન કરી ઘ્વજા ચડાવવાની હોવાનું જણાવ્યુ હતું. તેમજ સોનાની હુંડી ૮૨ નંગ મંદિર ટ્રસ્ટ પાસેથી પુજા માટે મેળવી હતી અને પુજા થયા બાદ હુંડ મંદિર સંસ્થાને પાછી આપવાનો વિશ્ર્વાસ આપ્યો હતો.
આરોપીઓ ૨૫ લાખનો ચેક લખી આપવાનો વિશ્ર્વાસ દઇ અને મંદિરની એક હુંડી સોનાની ૩.૫ ગ્રામ વજનની કુલ ૮૨ નંગ સોનાની હુંડીનુ કુલ વજન ૨૮૭ ગ્રામ જેની બજાર કિંમત ૧૦ ગ્રામ વજનની કિ. રુા. ૬૪ હજાર લેખે કુલ ૧૮.૩૬ લાખની લઇ જઇ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર સાથે આરોપીઓએ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદના આધારે જામજોધપુર પીઆઇ વાય.જે. વાઘેલા દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. બનાવના પગલે ભાવિકોમાં કચવાટની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application