ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન તરીકે ચંદુબા જાડેજા રીપીટ

  • September 18, 2024 11:32 AM 

માર્કેટિંગ યાર્ડ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો: સાર્વત્રિક આવકાર


ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખપદની પ્રથમ ટર્મની મુદત મંગળવારે પુર્ણ થયેલ થતા અહીંના નાયબ નિયામક અને જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષસ્થાને પ્રમુખ પદની બીજી ટર્મની ચુંટણી માટે ખાસ બેઠક અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજાના ધર્મપત્ની અને યાર્ડના વર્તમાન પ્રમુખ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.


આ વચ્ચે ઉલ્લેખનીય છે કે વરસો અગાઉ ખૂબ જ ખખડધજ અને દેવાના ડુંગર તળે ડૂબેલા અહીંના માર્કેટીંગ યાર્ડમાં પી.એસ. જાડેજા અને તેમના સાથી સભ્યોએ વર્ષ 2008માં પ્રથમ વખત માર્કેટીંગ યાર્ડમાં ચુંટાઈને સત્તા સંભાળ્યા બાદ તેઓએ સાથે મળીને માર્કેટીંગ યાર્ડને દાખલારૂપ વહીવટી કાબેલિયત વડે અકલ્પનીય રીતે વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યું છે.


હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ચંદુબા પી. જાડેજા પ્રમુખપદે છે. પરંતુ યાર્ડના સર્વાંગી વિકાસના ખરા યશભાગી પી.એસ. જાડેજા અને તેમની ટીમના સર્વે સાથી ડાયરેક્ટરો છે. કારણ કે તેઓ બધા અલગ અલગ ક્ષેત્રોમાં કુશળ વહીવટી નેતૃત્વ કરે છે અને માર્કેટિંગ યાર્ડના  વિકાસ માટે સકારાત્મક રીતે દોરવણી કરે છે.


વર્ષ 1985 ના સમયગાળામાં જયારે યાર્ડ બનાવવામાં આવ્યું હતું, ત્યારથી 40 દુકાનો વર્ષો સુધી બંધ હાલતમાં જ રહી હતી. કારણ કે ખેડૂતો યાર્ડમાં માલ વેચવા માટે આવવા જ તૈયાર નહોતા... પણ આજની પરિસ્થિતિમાં અહીં બીજી વધારાની 74 દુકાનો બનાવવામાં આવી છે, અને આજે કુલ 114 દુકાનો ચાલુ છે. જેમાં કમીશન એજન્ટો અને અન્ય વેપારીઓ ધંધો કરે છે. કોઈ નવા વેપારીને અહીં ધંધો શરુ કરવો હોય તો રૂ. 15 થી 20 લાખ પ્રીમિયમ આપવા છતાં યાર્ડ માં દુકાન મળે તેમ નથી. અહીંના યાર્ડમાં ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ મળે છે. આમ, આવક મોટા પ્રમાણમાં થતી હોય, દરેક વેપારીને મોટા પ્રમાણમાં ધંધો મળી રહે છે.


રાજ્ય સરકારના સહકાર અને કૃષિ કલ્યાણ વિભાગ ધ્વારા સમગ્ર રાજયમાંથી માત્ર બે જ માર્કેટ યાર્ડને મગફળી પ્રોસેસીંગ યુનિટ સ્થાપવા માટે 50 ટકા સહાય આપવાનો લક્ષ્યાંક હતો તે પૈકી એક ખંભાળિયાનું યાર્ડ છે. જે આ બધાના ટીમ વર્કનું પરિણામ છે.


આ ચુંટણીની કાર્યવાહી દરમ્યાન યાર્ડના ડાયરેક્ટરો પ્રતાપસિંહ સીદુભા જાડેજા, ચંદુબા પ્રતાપસિંહ જાડેજા, જે.ડી. નકુમ, ભીખુભા દજુભા જાડેજા, પ્રભાતસિંહ ગગુભા જાડેજા, પ્રભાતભાઈ કારૂભાઈ ચાવડા, મહાવિરસિંહ માનસંગજી જાડેજા, વિરેનભાઈ એભાભાઈ કરમુર, પંકજભાઈ રૂડાચ, બાબુભાઈ ગોજીયા, રામભાઈ કણજારીયા, અશોકકુમાર વિઠલાણી વિજયભાઈ નકુમ, સીદાભાઈ કારીયા, પરબતભાઈ છૂછર, વિજયસિંહ સોઢા, સહકારી અધિકારી(બજાર). ચુંટણીની કાર્યવાહી પુર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખને ઉપસ્થિતોએ અભિનંદન પાઠવી, શુભેચ્છાઓ આપી હતી.


આ સાથે નવનિયુક્ત ચેરમેનની વરણી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને માર્કેટિંગ યાર્ડ પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application