હિંમતનગરમાં કરૂણ ઘટના, સીઆપીએફ જવાનનું ફરજ પર હાર્ટ એટેકથી મોત, પુત્રના લગ્નના ગીતોની જગ્યાએ મરસીયા ગવાયા

  • February 05, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામે એક કરુણ ઘટના સામે આવી છે. દીકરાની જાન જાય તે પહેલાં જ પિતાની અર્થી ઊઠી હતી. જમ્મુ-કાશ્મીરમાં CRPF જવાન તરીકે ફરજ પર બજાવતા પિતાને અચાનક ફરજ પર હાર્ટએટેક આવતાં તેમનું મોત નીપજ્યું હતું. જેથી તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, મૃતક વિષ્ણુભાઈના દીકરાના 17 ફેબ્રુઆરીએ લગ્ન હતા, કંકોત્રીઓ પણ વહેંચાઈ ગઈ હતી. ત્યારે અચાનક આ દુ:ખદ ઘટનાથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. આખા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.


કાણીયોલ ગામમાં CRPF જવાન વિષ્ણુભાઈ પ્રજાપતિની અંતિમયાત્રા દેશભક્તિના ગીતો અને 'ભારત માતા કી જય'ના નારા સાથે નીકળી હતી. 53 વર્ષીય વિષ્ણુભાઈ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ASI તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં સંત્રી ચોકી પર ફરજ દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું.


ફરજ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા
ગત ડિસેમ્બર મહિનામાં હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ 20 દિવસ આરામ કરી વિષ્ણુભાઈ 6 જાન્યુઆરીએ ફરજ પર પરત ફર્યા હતા. ગઈકાલે સવારે ફરજ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા અને કુલગામ જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


આખા ગામમાં તિરંગા લહેરાવાયા
પરિવાર માટે આ ઘટના વધુ દુઃખદ એટલા માટે બની કે, વિષ્ણુભાઈના પુત્ર પાર્થના 17 ફેબ્રુઆરીએ લગ્ન નિશ્ચિત થયા હતા. તેમના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે, સમગ્ર ગામમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગામની સીમમાં નદી કિનારે ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.


સગાસંબધીઓને કંકોત્રી પણ આપી દેવાઈ
આ અંગે ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, તેમની પત્ની અને તેમના બે દીકરા એકનું નામ પાર્થ અને બીજાનું નામ સાહિલ છે. જેમાં દીકરા પાર્થના 17 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન હતા. જેની કંકોત્રી પણ સગાસંબધીઓને આપી દેવામાં આવી હતી.



ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિસંસ્કાર
વિષ્ણુભાઈ આજે તેમના વિભાગમાં રજા મુકીને આવતીકાલે ગુરુવારે ઘરે આવવાના હતા. પરતું હ્રદયરોગના હુમલામાં ફરજ પર વિષ્ણુભાઈનું અવસાન થતાં ગઈકાલે પરિવારજનોને અવસાનના સમાચાર મળ્યા હતા અને આજે તેમનો મૃતદેહ તેમના વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application