રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ હરકતમાં તંત્ર! જન્માષ્ટમીના મેળામાં આ નિયમો લેવાયા...જાણી લો

  • July 11, 2024 08:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વર્ષ 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. અને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જાણો વિગત વાર


રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં ધંધાર્થે સ્ટોલ લેવા માગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા નાયબ કલેક્ટર રાજકોટ-1 દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, લોકમેળાના દરેક સ્ટોલ ધારકે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવવાનું રહેશે. લોકમેળાના દરેક નાના સ્ટોલ/પ્લોટ ધારકે એક ફાયર એક્સ્ટિંગ્યુશર અને મોટા રાઇડ્સ, સ્ટોલ/ પ્લોટ ધારકે બે ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવાના રહેશે. 


લોકમેળાના યાંત્રિક રાઈડસધારકોએ કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે વીમો લેવાનો રહેશે. યાંત્રિક રાઈડ્સધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના રહેશે. યાંત્રિક રાઇડસ ધારકોને ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ વીજજોડાણ આપવામાં આવશે. તમામ રાઇડસ ધારકોએ ઈ.એલ.સી.બી. લગાવવાના રહેશે. 


લોકમેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ હોવાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં. દરેક સ્ટોલધારકોએ ફાળવેલી જગ્યા પાસે એક ડસ્ટબીન ફરજીયાત પણે મુકવાની રહેશે. લોકમેળા દરમિયાન પણ આ ડસ્ટબિનમાંથી કચરો એકઠો કરી મોટી કચરાપેટીમાં લઈને નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ જીએસટી ભરવાનો રહેશે. ઉપરાંત કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સરકારશ્રીના પ્રવર્તમાન એસ.ઓ.પી.– નિયમો તથા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. 


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો ઉમટે

અતિ લોકપ્રિય આ લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. 5 દિવસના મેળા દરમિયાન આશરે 10 લાખ લોકો આ લોકમેળાનો આનંદ લે છે.જેમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં રાજકોટ પહોંચે છે. મેળાની રંગબેરંગી રાઇડસનો આનંદ લેતા હોય છે. આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application