લાંબા સમય બાદ મનપા તંત્રને યાદ આવી મોબાઈલ કોર્ટ

  • March 21, 2024 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં જાહેરમાં થુંકવા અને ગંદકી ફેલાવનારા સામે મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે. મનપાના વર્ષોથી ધૂળ ખાઈ રહેલી મોબાઈલ કોર્ટને ફરી સક્રિય કરાઈ છે. જ્યારે પોલીસના નેત્રમ કેમેરા પણ હવે ગુનાહો, ટ્રાફિક નિયમભંગની સાથે જાહેરમાં થૂંકવા અને ગંદકી ફેલાવવા મામલે દંડનીય કાર્યવાહી કરશે. જોકે અગાઉ આ રીતે કાર્યવાહી કરવામાં આવતી હતી. હવે ફરીથી શરૂ કરાઈ છે. પરંતુ લોકસભાની ચૂંટણી ટાણે જ આ પ્રક્રિયા શરૂ કરાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ફરી નેત્રમના માધ્યમથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બુધવારે પ્રથમ દિવસે મહાપાલિકાએ જાહેરમાં થુકનાર અને ગંદકી ફેલાવતા પાંચ આસામીને નેત્રમના માધ્યમથી પકડી દંડ ફટકાર્યો હતો. અગાઉ મહાપાલિકા દ્વારા પોલીસ સાથે સંકલન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર શહેર પોલીસ સાથે સંકલનમાં રહી શહેરના જાહેર સ્થળોએ ન્યુસન્સકર્તા આસામીઓ પાસેથી દંડ વસુલવા માટેની કામગીરી કરવા માટે નેત્રમના માધ્યમથી બુધવારે શહેરના જાહેર સ્થળોએ થુંકીને-કચરો ફેંકીને ગંદકી ફેલાવતા ન્યુસન્સકર્તા કુલ ૦૫ આસામીઓને ઓળખી તેઓ સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દૈનિક 1 ધોરણે નેત્રમના માધ્યમથી આ રીતે ન્યુસન્સ કરતા આસામીઓને ઓળખીને દંડનીય કામગીરી કરવામાં આવનાર છે. ભાવનગર શહેરના તમામ વેપારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ/હોસ્પીટલ, દવાખાના, લારી ગલ્લા ધારકો, ચા-પાન માવાના ધંધાર્થી ભાઈઓ તથા અન્ય કોમર્શીયલ એકમો ધરાવતા આસામીઓને તેઓના ધંધાના સ્થળે ડસ્ટબીન રાખવા જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત જ્યાં ત્યાં કચરો ના કરવા તેમજ નાગરીકોને જ્યાં ત્યાં ન થુંકવા, ગંદકી ન કરવા જણાવવામાં આવે છે અને દંડનીય કાર્યવાહીથી બચવા માટે નિયમોનો ચુસ્ત અમલ કરવા ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકાએ અગાઉ નેત્રમના માધ્યમથી ઘણા લોકોને પકડી દંડ ફટકાર્યો હતો પરંતુ ત્યારબાદ કોઈ કારણસર કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. હવે એક તરફ ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા ફરીથી નેત્રમ કેમેરાની મદદથી જાહેરમાં ગંદકી ફેલાવતા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મામલે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા કરવામાં આવતી કામગીરી ખુબ સારી છે. પરંતુ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય છે. જેને ઉપાડવાની જવાબદારી મનપાની બને છે. તે અંગે પણ કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application