પાકિસ્તાનમાં કુરાન સળગાવવાના આરોપીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી જીવતો સળગાવ્યો

  • June 21, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાંથી માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ટોળાએ કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને માર મારીને તેની લાશને આગ ચાંપી દીધી હતી. મદયાનમાં લગભગ 20 લોકોએ કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને પકડ્યો હતો. જે બાદ પોલીસે દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને લોકો પાસેથી છોડાવીને કસ્ટડીમાં લીધો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ મસ્જિદમાંથી જાહેરાત કરી અને ભીડ એકઠી કરી  હતી. થોડી જ વારમાં ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તે વ્યક્તિને પોલીસ કસ્ટડીમાંથી બહાર કાઢ્યો અને તેને માર માર્યો.


પોલીસે આ વ્યક્તિની અટકાયત કર્યા પછી તેણે લોકોને એકત્ર કરવા માટે મસ્જિદના માઇક્રોફોનનો ઉપયોગ કર્યો. કુરાનનું અપમાન થયું હોવાના સમાચાર લોકોમાં ફેલાતા જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ પાસેથી તે વ્યક્તિ છીનવી લીધો.


સ્વાત જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) ઝાહિદુલ્લાએ જણાવ્યું હતું કે મૃતક સિયાલકોટનો રહેવાસી હતો અને તે વ્યક્તિ પર કથિત રીતે મદયાન તહસીલમાં પવિત્ર કુરાનના કેટલાક પાના સળગાવવાનો આરોપ હતો, ત્યારબાદ કેટલાક લોકોએ તેને તેની સુરક્ષા માટે કસ્ટડીમાં લીધો હતો. પરંતુ થોડા સમય બાદ ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસે ભીડને કાબૂમાં લેવા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ પોલીસ આટલી મોટી ભીડને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી. ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. તેને આગ લગાડી અને તે વ્યક્તિને માર માર્યો અને તેને બહાર લઈ ગયા. વ્યક્તિના મોત બાદ ટોળાએ તેના મૃતદેહને પણ આગ ચાંપી દીધી હતી.


ટોળાએ માણસને લાકડીઓ વડે માર માર્યો હતો અને જ્યાં સુધીમાં તે મરી ગયો હતો. તેના મૃત્યુ પછી પણ ટોળું અટક્યું ન હતું અને તેઓએ તે વ્યક્તિના શરીરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાનમાં ઘણા લોકોએ તેની નિંદા કરી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પોલીસને આ વિસ્તારમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કટોકટીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.


પોલીસ સ્ટેશનને આગ ચાંપી


અહેવાલો અનુસાર, ભીડ એટલી ખતરનાક બની ગઈ હતી કે પોલીસકર્મીઓએ પણ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું અને ટોળાએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડના સમાચાર નથી.


પોલીસના જણાવ્યા અનુસાર મેના અંતમાં પાકિસ્તાનના પૂર્વ પંજાબ વિસ્તારમાં કુરાનના પાના સળગાવવાના આરોપી એક ખ્રિસ્તી વ્યક્તિને પણ ટોળાએ માર માર્યો હતો. ફેબ્રુઆરી 2023 માં કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક મુસ્લિમ વ્યક્તિની પણ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application