એ.પી.એમ.સી. ખંભાળિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો

  • February 25, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯મા હપ્તા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૯ હજારથી વધુ ખેડુતોને રૂ.૧૩.૮૫ કરોડથી વધુની રકમ સીધી બેક ખાતામાં ચૂકવાઈ


કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા


મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અપાઇ



પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો આજ રોજ બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ એ.પી.એમ.સી. ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.


આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું હતું કે, દેશ તથા રાજ્યના અન્નદાતાઓને આર્થિક રીતે પગભર કરી આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જો ખેડૂતો પ્રગતિશીલ હશે તો રાજ્ય તથા દેશનો સર્વાંગી વિકાસ  થશે. 


વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે.  આજે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે સમગ્ર માહિતી ખેડૂતોને ઘર બેઠા જ મળી રહી છે.


આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા તેમજ કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ પરિશ્રમનું આર્થિક રીતે ફળ મળે તે માટે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. વાર્ષિક રૂ.૬ હજારની રકમ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખરીદીમાં ઉપયોગી નીવડી રહી છે. જો દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ ૮૧,૧૨૪ જેટલા ખેડૂતોને કુલ ૧૮ હપ્તામાં  રૂ.૨૪૮.૨૮ કરોડ જેટલી રકમની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવણી કરેલ છે. અહીંયા ઉપસ્થિત સૌ ખેડૂતોને મારો અનુરોધ છે કે, સરકારની વિવિધ યોજના લાભ મેળવો તેમજ અન્યોને પણ પ્રેરિત કરશો. 

આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન  જીતેન્દ્રભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શનમાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતો કલ્યાણ માટે વિવિધ યોજનાઓ તેમજ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિની મુહિમ ઉપાડી છે. જો આજની ભાગદોડ ભર્યા જીવનમાં સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહેવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવી અનિવાર્ય છે. 

આ તકે સામાજિક અગ્રણી પી.એસ.જાડેજાએ જણાવ્યું કહ્યું હતું કે, આપણો દેશએ ખેતીપ્રધાન દેશ છે. કૃષિએ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખેડૂતહિત લક્ષી યોજનાઓ અમલમાં છે. વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિ સંકલ્પને ચરિતાર્થ કરવા તરફ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

કાર્યક્રમમાં ખેડુતોને કૃષિ સંલગ્ન વિષયોની અધતન માહિતી મળી રહે તે માટે કૃષિ, આત્મા, બાગાયત, પશુપાલન અને અન્ય સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તકે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને  સન્માનપત્ર તથા સહાય ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧,૧૨૪ ખેડૂત કુટુંબોને, એકંદરે ૧૮ હપ્તામાં રૂ.૨૪૮.૨૮ કરોડની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી ચૂકવવામાં આવેલ છે. તેમજ આજરોજ જિલ્લાના ૬૯,૨૬૯થી વધુ ખેડુતોને રૂ.૧૩.૮૫ કરોડથી વધુની રકમ ૧૯મા હપ્તા દરમ્યાન સીધી બેક ખાતામાં જમા કરવામાં આવી હતી.
​​​​​​​

કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી  કે.વી.શેરઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. 


આ તકે કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારીકે.કે.કરમટા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન. ડઢાણીયા સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application