ખંભાળિયાના લાલપરડા ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

  • April 24, 2024 10:22 AM 

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે વર્ષ 2014 થી 'લાલપરડા કર્મચારી મંડળ' કાર્યરત છે. મહદઅંશે ખેતીના વ્યવસાયમાં જોડાયેલ આ ગામની વસ્તી હાલમાં આશરે ચાર હજાર જેટલી છે. જેમાંથી મોટાભાગના ગ્રામજનો આ વાડી વિસ્તારમાં રહે છે.


આ મંડળમાં ગામના વતની હોય તેવા 51 કર્મચારીઓનો હાલમાં સમાવેશ થાય છે. મંડળનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક વિકાસનો રહેવા પામ્યો છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્માન સમારોહ, સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન, શાળામાં ઘટતા શિક્ષકોની મંડળ દ્વારા પૂર્તતા કરવી, આગળ ભણવા જતા નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી વિગેરે જેવા પ્રોત્સાહક અને પરિણામલક્ષી કાર્યો મંડળ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ માટે મંડળને દાતાઓનો સહયોગ પણ નિયમિત રીતે પ્રાપ્ત થાય છે.


મંડળના સ્થાપના કાળથી દર વર્ષે યોજાતો સન્માન સમારોહ આ વર્ષે પણ ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ગામની ત્રણ શાળા પૈકી મુખ્ય શાળામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને તથા વાડી શાળા-2 અને વાડી શાળા-3 માં ધોરણ ત્રણથી પાંચમા પ્રથમ ત્રણ ક્રમ આવનારને શિલ્ડ, પ્રમાણપત્ર તથા બોલપેનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


સન્માનની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓને આગળ અભ્યાસનું માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમમાં ખાસ વક્તાઓને દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ સન્માન સમારોહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ વીરુભાઈ કંડોરીયા તથા લાલપરડા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી આચાર્ય તરીકે કામ કર્યું છે અને ગામના તત્કાલીન શિક્ષણમાં જેની ભૂમિકા મહત્વની રહી છે તેવા નિવૃત્ત શિક્ષક એલ.એમ. નિમાવત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ બંને શિક્ષણવિદોએ ભાવી શિક્ષણ સંદર્ભે વાલીઓ અને વિદ્યાર્થીઓને દિશા સૂચન કર્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કર્મચારી તરીકે ગત વર્ષે નવનિયુક્ત થયેલ ગામના પાંચ, તમામ મહિલા કર્મચારીઓને તથા પ્રમોશન મેળવેલ ત્રણ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સ્થાપના કાળથી જ પ્રમુખ અને મંત્રી એવા મુળુભાઈ ડુવા તથા રાજેશભાઈ વારોતરીયાએ તથા દાતા તરીકે નારણભાઈ આલાભાઈ ડુવાએ સેવા સાથે જહેમત ઉઠાવી હતી. મંડળના સભ્યો, મુખ્ય શાળાના આચાર્ય અરજણભાઈ લગારીયા, શિક્ષક ગણ, સ્થાનિક કાર્યકર ગોગનભાઈ ડુવાએ પણ મહત્વનો સહકાર આપ્યો હતો. છેતરિયા પરિવાર દ્વારા બટુક ભોજન કરાવાયું હતું. ગામડે ગામડે આ પ્રકારની પ્રવૃત્તિ થાય તો સમગ્ર ગ્રામીણ પ્રદેશમાં શિક્ષણનું સ્તર ઉત્તમ બને તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન મૌલિકભાઈ મહેતાએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application