માલિયાસણમાં કાળમુખા અકસ્માતમાં જામનગરના ત્રણ લોકોના મોત, આજે ત્રણેય મૃતકોની એકસાથે અંતિમયાત્રા નિકળતા અશ્રુઓનો દરિયો વહ્યો

  • February 26, 2025 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલીયાસણ પાસે ટ્રક-રીક્ષા વચ્ચેના ગોઝારા અકસ્માતથી હાઇ-વે મરણચીસોથી ગુંજી ઉઠયો...!: રાજકોટની ભાગોળે માલીયાસણ પાસે ટ્રકચાલકે ડિવાઇર પાસેથી રોંગ સાઇડમાં ટર્ન માયર્િ બાદ કાબૂ ગુમાવ્યો અને રીક્ષાનો કચ્ચરધાણ બોલી ગયો: જામનગરના ગુલાબનગરના દંપતિ સહિત 3 અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નપ્રસંગમાં જતો હતો: બાળકી સહિત છ સ્વજન ગુમાવતા પરિવાર શોકમગ્ન


રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક ગઈકાલે સમી સાંજના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર અને નવાગામના બે પરિવારોના છ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં એક બાળકી ચાર મહિનાનું સમાવેશ થાય છે. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. અહીં હાઇવે પર કામ ચાલી રહ્યું હોય દરમિયાન કોઈએ ગેરકાયદે રીતે ડિવાઈડર તોડી નાખ્યું હતું. જ્યાંથી ટ્રક ચાલકે ટર્ન મારી રોંગ સાઈડમાં ટ્રક હંકારી રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માતની આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. ઘટના બાદ ટ્રક ચાલક વાહન રેઢુ મૂકી નાસી ગયો હતો. હાલ આ મામલે પોલીસે ટ્રકચાલક સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ચોટીલા પ્રસંગમાં જવા માટે નીકળેલા પરિવારના છ સભ્યોએ અકસ્માતમાં જીવ ગુમાવતા વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સતવારા પરિવારના 3 ના મોત નિજતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી અને ત્રણેય હતભાગીના મૃતદેહોને અહી લાવવામાં આવ્યા હતા, આજે સવારે એકી સાથે અંતીમયાત્રા નિકળતા વિસ્તારમાં કણતા પ્રસરી ગઇ હતી, હૈયાફાટ દનથી વાતાવરણ ગમગીન બન્યુ હતું.


ગઈકાલ સમી સાંજના માલીયાસણ નજીક ચાંદની હોટલ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકે રીક્ષાને હડફેટે લઈ તેનો કચ્ચરધાણ બોલાવી દીધો હતો. રિક્ષામાં બેઠેલા લોકોની મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. રીક્ષા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને લોકોએ ભારે જેહમત ઉઠાવી રીક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં શારદાબેન ઝીણાભાઈ નકુમ (ઉ.વ 60), રીક્ષાચાલક યુવરાજ રાજુભાઈ નકુમ(ઉ.વ 30) તેની પત્ની શીતલ (ઉ.વ 29) તેમની બહેન ભૂમિ (ઉ.વ 22) નંદિની સાગરભાઇ સોલંકી (ઉ.વ 29) અને આઠ માસની બાળકી વેદાંશી સાગરભાઇ સોલંકીને મૃત જાહેર કયર્િ હતા જ્યારે અકસ્માતની આ ઘટનામાં આનંદ વિક્રમભાઈ સોલંકી (ઉ.વ 24) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


અકસ્માતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈ નકુમ મંગળવારે સવારે રિક્ષામાં પત્ની શીતલ બહેન ભૂમિને બેસાડી રાજકોટના નવાગામમાં રહેતા તેના ફઈ શારદાબેન ઝીણાભાઈ નકુમના ઘરે આવ્યા હતા. ત્યાંથી શારદાબેન તથા નવાગામમાં જ રહેતા સંબંધી આનંદ સોલંકી અને નંદીની સાગરભાઇ સોલંકી તથા તેની પુત્રી વેદાંશીને રિક્ષામાં બેસાડ્યા હતા બંને પરિવારના 7 સભ્યો ચોટીલા લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન માલિયાસણ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકે રિક્ષાને હડફેટે લીધી હતી.


અકસ્માતની આ ઘટના બાદ બનાવ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી સજનસિંહ પરમાર,ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી આર.એસ.બારીયા, આરટીઓ કે.એમ.ખપેડ સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ બનાવસ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો.


અકસ્માતની આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી ત્યાં કોઈએ ગેરકાયદે રીતે ડિવાઈડર તોડી નાખ્યું હોય દરમિયાન ટ્રક ચાલકે આ તૂટેલા ડિવાઈડર પાસેથી ટર્ન મારી રોંગ સાઈડમાં વાહન ચલાવ્યા બાદ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ પ્રકારે ગેરકાયદે ડિવાઈડર કોણે તોડ્યું તે અંગે કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ ટ્રકચાલક વાહન રેઢુ મૂકી નાસી ગયો હોય છ વ્યક્તિની જિંદગી ભરખી જનાર ટ્રક ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી તને ઝડપી લેવા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.


જામનગરના ગુલાબનગરમાં રહેતા યુવરાજભાઇ નકુમ રીક્ષા ચલાવે છે અને તેના સબંધી ચોટીલા ખાતે રહેતા હોય આથી લગ્ન પ્રસંગમાં જવા માટે અહીંથી રીક્ષામાં નીકળ્યા હતા અને રાજકોટના નવાગામમાં રહેતા તેમના અન્ય સબંધીઓને બેસાડીને ચોટીલા જઇ રહયા હતા એ દરમ્યાન કાળમુખા ટ્રકે રીક્ષાને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જામનગરના ત્રણેય મૃતકોને અહી લાવવામાં આવ્યા હતા અને આજે સવારે ગુલાબનગર વિસ્તારમાંથી એક પરિવારના ત્રણેય હતભાગીની અંતીમ યાત્રા નિકળતા વાતાવરણ ગમગીન બની ગયુ હતું અંતીમ યાત્રામાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3-3 અર્થીઓ એક સાથે ઉઠતા હૈયાફાટ દનથી કણ દ્રશ્યો જોવા મળ્યા હતા.


ટ્રક ને દૂર કરવા માટે ક્રેનની મદદ લેવી પડી
અકસ્માતની આ ઘટના બાદ બનાવસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને રીક્ષામાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે મદદરૂપ બન્યા હતા. બીજી તરફ અહીં હાઇવે પરથી ટ્રકને દૂર કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર 10 કી.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે આ ટ્રાફિક કલીયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.


ઘટના નજરે જોનારના નિવેદનો લેવાશે, હાઇવેના સીસીટીવી ફૂટેજો ચકાસાશે
એક બાળકી સહિત છ જિંદગીને ભરખી જનાર ગોઝારા અકસ્માતની આ ઘટના બાદ અકસ્માત કઈ રીતે બન્યો? તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અકસ્માતની આ ઘટના નજરે નિહાળનારના નિવેદનો લેવામાં આવશે. એટલું જ નહીં રાજકોટ-કુવાડવા હાઇવે પરના સીસીટીવી ફૂટેજો પણ ચકાસવામાં આવશે.


માતા-પુત્રી, ભાઇ-બહેન, દંપતીએ જીવ ગુમાવ્યા
માલીયાસણ પાસે મંગળવારે સમી સાંજના બનેલી આ અમંગળ ઘટનામાં બાળકી સહિત છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં માતા પુત્રી,ભાઇ-બહેન અને દંપતીનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં રહેતા રીક્ષા ચાલક યુવાન યુવરાજ રાજુભાઈ નકુમ (ઉ.વ 30) અને તેની પત્ની શીતલ યુવરાજ નકુમ (ઉ.વ 29) ઉપરાંત તની બહેન ભૂમિ રાજુભાઇ સોલંકી(ઉ.વ 22) એ જીવ ગુમાવ્યા હતા. તો નવા ગામમાં રહેતા નંદીનીબેન સાગરભાઇ સોલંકી (ઉ.વ 25) અને તેમની આઠ માસની પુત્રી વેદાંશી પણ અકસ્માતની આ ઘટનામાં મોતને ભેટયા હતા.


ઈજાગ્રસ્તે સીપીને કહ્યું, સાહેબ ટ્રક ચાલકને છોડતા નહીં
ગઝારા અકસ્માતની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સિવિલ હોસ્પિટલે પહોંચી ઇજાગ્રસ્ત આનંદ વિક્રમભાઈ સોલંકીની તબીયત અંગે પૃચ્છા કરી હતી. ત્યારે ઇજાગ્રસ્ત યુવાને પોલીસ કમિશનરને કહ્યું હતું કે, સાહેબ ટ્રકના ડ્રાઇવરને છોડતા નહીં તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરજો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application