હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારનો એક્શન પ્લાન, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • April 15, 2024 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવ સામેની લડતમાં મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગનો સાંકળીને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


હીટ વેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું (Dos and Don’ts) ની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને  અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા. 


આ સંદર્ભે રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે, મલ્ટીપરપઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિત ના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવા માં આવી રહ્યા છે.


તેમણે ઉમેર્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હિટવેવ આવતા નથી. છતાં જો હીટવેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટીવ એક્શન પ્લાન સાથે તૈયાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.    


આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ,  ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application