પોરબંદરના દરિયામાં વહાવવા સામે ‘પોરબંદર બચાવો’ સમિતિની થશે રચના

  • September 06, 2024 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુકત પાણી પોરબંદરના દરિયામાં વહાવવા સામે ‘પોરબંદર બચાવો’ સમિતિની રચના થશે અને સ્થાનિકકક્ષાએ જનપ્રતિનિધિઓનું ધ્યાન દોર્યા બાદ જો નહીં જાગે તો અહિંસક આંદોલનની પણ તૈયારી બતાવાઇ છે.



પોરબંદરના રમણીય સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના પાણી વહાવવા માટે સરકાર મકકમ છે ત્યારે પોરબંદરમાં બિનરાજકીય રીતે ‘પોરબંદર બચાવો’ સમિતિની રચના કરવામાં આવશે તેમ જણાવીને ભાર્ગવ જોષી દ્વારા પોરબંદરવાસીઓને જણાવાયુ છે કે આપ સહુ સારી રીતે જાણો છોકે પોરબંદર નેચર અને કલાઇમેન્ટ માટે અલાયદો અને આગવો  પ્રાણવર્ધક પ્રદેશ છે, અહીંનો સમુદ્ર સ્વભાવે મૃદુ, સ્વાદે ખારો અને દેખાવે આસમાની રંગનો છે. આપણા ખારવા ભાઇઓ રહેનોની જીવાદોરી  સમો અસંખ્ય દુર્લભ જીવોનો આશ્રયસ્થાન છે.



આપણે જે જાણીએ છે એ વાત સમજીએ છીએ કે નથી સમજતા એ વિષય અલગ હોય તો પણ એટલું ચોક્કસ જાણતા જ હશુ કે આ સાગરનો સ્વાદ, કલર અને સ્વભાવમાં બદલાવ આવી જાય તો શું થાય? આ શું થાય? એને આપણે જે સમજીએ છીે એ આપણાથી સવાસો કિ.મી. દૂર જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નથી જાણતા, ચારસો કિ.મી. દૂર સરકારમાં બેસેલા અધિકારીઓ અને નેતાઓ નથી જાણતા અને અહી એકાદ કિલોમીટરમાં રહેતા આપણા ધારાસભ્ય, સાંસદ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને પાલિકાના સદસ્યો નથી જાણતા.
આપણા સમુદ્રની તાસીર, તમારી અને મારી આરોગ્ય પર પડનારી અસરો અને આપણા સાગર ખેડુ જ નહીં  ધરતી ખેડનાર ખેડૂને પણ તન, મન ને ધનની ઉપર ઉંડી ચોટ કેટલી પડે તેમ છે એ આપણા જેટલું એ લોકો નથી જાણતા જેમણે ડીપ-સી પ્રોજેકટની વહેતી ગંગામાં પોતાના હાથ ધોઇ નાખ્યા છે. આ રેકર્ડ વગાડી વગાડીને અને આપણે ને આપણે, સાંભળી સાંભળીને થાકી તેમજ પાકી ગયા છીએ કે જેતપુરનો કદળો ૧૨૦ કિલોમીટર પાઇપલાઇનનો પ્રવાસ કરીને પોરબંદરમાં ઠલવાવાનો છે. 



ત્યારે પોરબંદરવાસી તરીકે અને અહીંની ભૂમિ, જમીન, ધરા તથા ‘માં-ભોમ’નું ઋણ ચુકવવાની નોબત આવી પડી છે, ત્યારે પક્ષાપક્ષીથી  પર જઇને ‘જેતપુરના ગંદા પાણીને પોરબંદરમાં’ કે અન્ય કયાંય સાગરમાં ન ઠલવાય તે અંગે સરકાર, સાંસદ, ધારાસભ્ય અને ચુંટાયેલા અથવા આવતા દિવસોમાં ચુંટાઇ આવશે તેવા જનપ્રતિનિધિઓનું ધ્યાન દોરવા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જન્મસ્થાન એવી પોરબંદર નગરીમાં એક અહિંસક આંદોલન કરીને આ લોકોને આપણી વ્યથા, વેદના, પડનારી ઉંડી અસરો બાબતે જણાવીએ તો કેમ? એવા સવાલ સાથે આ ચર્ચા આપ  સહુ સમક્ષ રાખવા માંગુ છું. આ આંદોલનમાં આપણે એક દિવસ નક્કી કરવો છે એ દિવસે સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી એક કલાક માટે જ્યાં હોઇએ ત્યાંથી એકબીજાને જોડીને માનવ સાંકળ બનાવીને મુક વિરોધ નોંધાવીએ જેથી સરકાર ડીપ-સી પ્રોજેકટ રદ કરે અને તેની જગ્યાએ અન્ય કોઇ વૈકલ્પિક માર્ગ વિચારે જેનાથી પોરબંદરના નાગરિકો, ઘેેડ પંથકના ખેડૂતો, સાગરખેડૂતો સહિત સમુદ્રમાં આપણા ભરોસે જીવી રહેલ અસંખ્ય જીવોનું રક્ષણ કરી શકાશે.



આ માટે કોઇ પણ રાજકીય પક્ષ, સંસ્થા કે સંગઠનના બદલે  ‘પોરબંદર બચાઓ’ સમિતિ બનાવીને તેમાં સહુને જોડીએ. ‘માનવ સાંકળ’ બનાવીને વિરોધ રજુ કરીએ. આ આખા કાર્યક્રમને વાસ્તવિક ‚પ આપવા પોરબંદરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો,  સાગરખેડૂઓ, ડોકટરો, વકીલો, શિક્ષકો, ચિંતકો, મજૂરો, વિદ્યાર્થીઓ, રેકડીધારકો, ફેરીયા કે પાથરણા પર બેસીને વ્યવસાય કરનારાઓ, પોરબંદરના અધિકારીઓ, કર્મચારી યુનિયનો, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કે તાલુકા પંચાયતના સદસ્યો, પાલિકા તથા સુધરાઇના સદસ્યો, નિવૃત નાગરિકો, પ્રવૃત્ત નાગરિકો, બૌધ્ધિકો, પ્રબુધ્ધો અને શુભ ચિંતકોને ‘પોરબદર બચાવો’ સમિતિના માધ્યમથી મળીને ‘માનવ સાંકળ’ કયારે બનાવવી તેની તારીખ અને સમય નક્કી કરીએ. 



ભાર્ગવ જોષીએ જણાવ્યુ છે કે આ માટે  આપ આમાં ‚ચી લેશો કે કેમ? આવો સવાલ કરવાને બદલે પોરબંદરવાસીઓને નમ્ર અપીલ છેકે આ આંદોલનનો હિસ્સો આપને પણ બનવાનું છે. અન્ય કોઇ જ યોગદાન ન આપી શકો તો પણ જે દિવસે માનવ સાંકળ બનાવવાનો દિવસ જાહેર થાય તે દિવસે આપના બંને હાથોમાં બીજા બે હાથને કસીને પકડીને સાક્ષાત્ ઇશ્ર્વરને પણ આત્મીય અપીલ કરીશું કે હે ઇશ્ર્વર, હે અલ્લાહ, હે વાહે ગુ‚, હે ગોડ, પોરબંદરના સમુદ્રને સાડીના  કારખાના ગંદા પાણીથી બચાવવા આ પ્રોજેકટને પરાણે કરવા માંગતા લોકોને સદ્બુધ્ધિ આપ !


આપને માનવ સાંકળ આંદોલન માટે તન, મન અને ધનથી સમર્પિત થવા, આપ સહુનો સાથ અને સહયોગ મેળવવા, પોરબંદર અને પોરબંદરના સમુદ્રને બચાવવા અપીલ કરી છે અને ઉમેર્યુ છે કે અહી સ્પષ્ટતા કરવાની કે આ આંદોલનનો હિસ્સો હોવા છતાં મારી રાજકીય લાયકાત કે ઓળખને આ આંદોલન સાથે જોડતો નથી, ન જોડીશ કેમકે આંદોલન માત્રને માત્ર ‘પોરબંદરબચાવો’ સમિતિના નેજા હેઠળ થશે, જેમાં ભાજપના પણ હોય શકે છે અને કોંગ્રેસના પણ હોય શકે છે કે વિવિધ દલ કે સંગઠનના સૌ કોઇ હશે વેપારી, વિદ્યાર્થી, વકીલ, ડોકટર, શિક્ષક, મજૂર, પ્રબુધ્ધ, હોશિયાર તેમજ સૌ કોઇ જે પોરબંદર શહેર કે જિલ્લાનો છે એ દરેક લોકો આ આંદોલનનો હિસ્સો બનશે. આથી સર્વપ્રથમ ‘પોરબંદર બચાઓ’ સમિતિની રચના થાય તેવા હેતુસર ટૂંક જ સમયમાં કોઇ જાહેર સ્થળે આપણામાંથી જેકોઇ પહોંચી શકે તે સૌ કોઇ સમિતિની રચના કરીશુ, એકબીજા સાથે જોડાઇ રહેવા માટે અપીલ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application