ગુજરાતમાં બે વર્ષમાં 56 સરકારી શાળાઓ બંધ, સરકારનો સ્વીકાર

  • March 27, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. આ વાતનો સ્વીકાર ખુદ સરકારે કર્યો છે. સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે આ શાળાઓ બંધ કરવી પડી છે.


સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. ઘણાં લોકો માને છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખાનગી શાળાઓની સરખામણીમાં નીચું હોય છે. જેના કારણે ગરીબ મા-બાપ પણ દેવું કરીને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ભણાવવાનું પસંદ કરે છે.


જો કે, ઘણાં ગરીબ મા-બાપ પાસે ખાનગી શાળાઓમાં ભણાવવાનો વિકલ્પ હોતો નથી અને તેઓ પોતાના બાળકને સરકારી શાળાઓમાં જ મોકલે છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ સારી કહી શકાય તેમ નથી.


મહત્વનું છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો.


જેના જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી છે.   


સરકારે આ શાળાઓ બંધ થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અથવા શૂન્ય સંખ્યા ગણાવી છે. ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ હતી કે શાળા ચલાવવી આર્થિક રીતે પોસાય તેમ નહોતું. જેના કારણે સરકારને આ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application