અમરગઢ ભીચરીમાં સરકારની 20 કરોડની જમીન પરના દબાણો દૂર કરાયા

  • July 16, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામમાં સરકારી જમીનમાં મોટા પાયે દબાણો થયા હોવાની ફરિયાદો મળ્યા બાદ તાલુકા મામલતદાર અને તેની ટીમ આજે સવારે ઘટના સ્થળ પર ત્રાટકી હતી અને સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.
અમરગઢ ભીચરીના સરકારી ખરાબાના સર્વે નંબર 228 ની 10,000 ચોરસ મીટર જમીનમાં બે દુકાન કારખાના અને ઢોરવાડા સહિતના બાંધકામો થઈ ગયા હતા. આજે પૂરતા પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી મામલતદાર દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશનની આ કાર્યવાહી વખતે સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી સહિતનાઓ પણ હાજર રહ્યા હતા.
અમરગઢ ભીચરીની આ જગ્યાએ દબાણ હટાવની કામગીરી વખતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પરંતુ અંતરિયાળ વિસ્તારમાં આ જગ્યા હોવાથી લોકોના ટોળા એકત્ર થવાની કે તેવી કોઈ બાબત બની ન હતી અને ગણતરીના કલાકોમાં જ દબાણ હટાવની કામગીરી પૂરી કરી દેવામાં આવી હતી.
આ દબાણ દૂર કરવા માટે મામલતદાર તરફથી અગાઉ સાત થી આઠ વખત નોટિસ આપવામાં આવી હતી અને પેશકદમીના કેસ પણ કરવામાં આવ્યા હતા. નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતા આખરે આજે અંતિમ નોટિસ આપીને દબાણ દૂર કરાયા છે.
સામાન્ય રીતે ચોમાસામાં દબાણ હટાવની કામગીરીને બ્રેક મારી દેવામાં આવતી હોય છે. પરંતુ સરકારી જમીન પરના દબાણો તોડી પાડવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો છે અને રાજકોટ જિલ્લામાં દરરોજ આ પ્રકારે સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે. આજે જે જમીન દબાણ મુક્ત કરવામાં આવી તેની બજાર કિંમત રૂપિયા 20 કરોડ આસપાસ થતી હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસુ હોવા છતાં હજુ દબાણ હટાવને લગતી કામગીરી ચાલુ જ રાખવામાં આવશે અને સરકારી જમીન પરના જે દબાણ છે તે દૂર કરીને જ કામ પૂરું કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application