108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના 16 વર્ષ : રાજકોટ જીલ્લામાં 42 એમ્બ્યુલન્સ 7.50 લાખ જેટલા ઈમરજન્સી કેસમાં સેવા પૂરી પાડી*

  • August 29, 2023 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

          
ગુજરાત રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ મી ઓગસ્ટ ૨૦૦૭ નો ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ હાલના વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે થયેલ હતો. 


આપત્તિનાં સમયમાં લાખો લોકોનાં જીવન બચાવનાર અને જીવાદોરી સમાન ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આજે ૨૯ મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સફળતાપૂર્વક ૧૬ વર્ષ પૂર્ણ થયેલ છે. 


રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭ માં ઈમરજન્સી તાકીદની સ્થિતિમાં જરૂરિયાતમંદ ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી કરેલ છે.
વર્ષ ૨૦૦૭ થી મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને ૧૦૮ ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ ૨૪X૭ પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અધ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા  ખાતે ૧૫ એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવેલ છે.
                   

ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની આગવી વિશેષતા


 વર્ષ ૨૦૦૭ માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે ૧૬ વર્ષ જેટલા સમયગાળામાં ૮૦૨ એમ્બ્યુલન્સ (૦૨ બોટ એમ્બ્યુલન્સ) સુધી પહોંચી છે. હદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ,ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.
રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૩૭૦૦ થી ૩૯૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. ૧૦૮ નંબર પર આવેલા ૯૯ % જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. 


૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. દર ૨૩ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.


૧ કરોડ ૫૧ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૨.૧૫ લાખથી વધુ પોલીસ અને ૬.૨ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે.  ૪૭.૯ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે. ૧૪ લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે. ૫૧.૨૭ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૩૨,૩૫૫ થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.
૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે, ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહેલ છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “ ૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવેલ છે. જેને ૩ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલ છે.
દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં ૧૦૮-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને EMRI GHS સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/૨૦૨૨થી કાર્યાન્વિત કરેલ છે. આ સેવા હેઠળ કુલ ૩૭ જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરેલ છે. 


ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નન્સની વ્યવસ્થા અમલીકૃત કરી છે.
રાજકોટ જીલ્લાની વાત  કરીએ  તો અહી  કુલ ૪૨ એમ્બ્યુલન્સ  ઉપલબ્ધ છે.  બધા મળીને કુલ ૭,૪૯,૭૧૮ કેસમાં આ સેવા લોકોને મદદરૂપ બની છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અદ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application