જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

  • June 21, 2023 10:46 AM 

જામનગર શહેરમાં ઐતિહાસિક અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી 'સંયુક્ત રાષ્ટ્ર પરિષદ' દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે, ઉપરાંત આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી પગલું છે. 


જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ અને પ્રાર્થનાની સાથે ઉપસ્થિત લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. આ વર્ષે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજ્યના 75 આઇકોનિક સ્થળોની યાદીમાં જામનગરની મહિલા કોલેજ અને ધ્રોલની જી. એમ. પટેલ સ્કૂલ- આ 2 સ્થળોનો વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,  એન. સી. સી. કેડેટ્સ, બી. એસ. એફ. ના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન. જી. ઓ. મેમ્બર્સ, વિવિધ સંસ્થાના યોગ પ્રશિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ ક્ષણે, કાર્યક્રમના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કૂટુંબકમની ભાવનાનો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વસ્તરે સ્વીકાર કરવામાં આવ્યો છે. યોગ એ આપણા જીવવનો અભિન્ન હિસ્સો છે. ભારતની સંસ્કૃતિ અને યોગનો આજે વિશ્વભરમાં ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો છે. 


આ તકે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે 'યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ' ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. 180 દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application