જામનગર મનપાની ૩૨ નગરસેવિકાઓનો વહીવટ પતિ કે પરિવારજનો કરે તો મહિલા અનામતનો અર્થ શું?
ઓમ રેસીડન્સી કો.ઓનર્સ એસો. દ્વારા મ્યુ.કમિશનરને પત્ર લખાયો
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ થયેલ, તેમાં જામનગર શહેરાં કુલ ૬૪ કોર્પોરેટરો ચુંટાઇ આવેલ, જે પૈકી ૫૦ ટકા એટલે કે ૩૨ મહિલા કોર્પોરેટરો છે. આ મહિલા કોર્પોરેટરોએ જાતે ફીલ્ડમાં લોકો સમક્ષ જઇને લોકોના પ્રશ્ર્નો ઉકેલવાએ તેમનીફરજ બની રહે છે, પરંતુ ઓમ રેસીડેન્સી નામની સોસાયટી (પ્રધાનમંત્રી આવાસ) માં નવા વરાયેલા મહિલા કોર્પોરેટર શહેર પ્રમુખની ભલામણથી આવાસના ગાર્ડનની સાફસફાઇ માટે આવેલ કોર્પોરેશનનું જે.સી.બી. મશીન કામ કરાવ્યા વગર પરત લઇ જઇ અમારા આવાસનું વિકાસ કાર્ય અટકાવી દીધેલ હોય, આ કોર્પોરેટર પતિ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે ગુજરાતના ડેપ્યુટી સી.એમ. હર્ષભાઇ સંઘવીને ઇ-મેઇલ દ્વારા લેખિત રજુઆત કરેલ છે.
ગુજરાત રાજયના વિકાસ કમિશનરના પરિપત્ર ક્રમાંક વિનિ/મહિલા/પ્રતિનિધિ દખલગીરી ૨૦૨૪ મુજબ ચુંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિઓ કે અન્ય સગાઓ ફિલ્ડમાં જઇને કોર્પોરેટર તરીકેના વહીવટી કે સરકારી કામો કરી શકશે નહીં. આ અંગેની સુચના તમામ મહાનગરપાલિકાના વહીવટ વડાને પણ આપવામાં આવી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદા મુજબ મહિલા કોર્પોરેટરોની અનામત સીટ પર ચુંટાઇને આવેલ મહિલાઓએ પોતે જાતે લોકો સમક્ષ જવાનું હોય તેમ છતાં જો આવા મહિલા કોર્પોરેટરોની બદલીમાં તેના પતિ કે અન્ય કોઇ પુરૂષ વહીવટ કરતો જણાય તો આવા મહિલા કોર્પોરેટરની સામે ગુજરાત મ્યુનિસિપાલીટીઝ એકટ ૧૯૬૩ ની કલમ ૩૭ મુજબ હોદા પરથી દુર કરવા બાબતે કાયદેસરની શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઇએ. આ બાબતે ઓમ રેસીડેન્સીના પ્રમુખ ધીરજ પંડયા, મંત્રી કમલેશ મકવાણા, સહખજાનચી વસીમ મીનાણીએ કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે મહિલા કોર્પોરેટરની અનામત સીટ પર ચુંટાઇને આવેલ મહિલા કોર્પોરેટરની બદલીમાં તેના પતિઓ કોઇપણ જાતની સતા કે હોદા વગર ફીલ્ડમાં લોકો સમક્ષ જઇને લોકો પાસે પોતાની ઘરવાળીની સતાનો રોફ જમાવે છે, તેથી આવા ગેરકાયદેસરના કૃત્યો તાકીદે બંધ કરાવી ગુજરાત મ્યુનિસીપાલીટીના કાયદાનું કડક અને ચુસ્તપણે પાલન કરાવો અને ખરા અર્થમાં મહિલાઓ માટેની અનામત સીટ પર જીતેલ મહિલા કોર્પોરેટરોને ફીલ્ડમાં જલઇ લોકોના પ્રશ્ર્નો સાંભળવાની અને ઉકેલવાની તેમની ફરજ અને જવાબદારી સમજાવી તે અંગે જરૂરી સુચનાઓ આદેશ આપવામાં આવે તેવી લોકહિતમાં અમારી માંગણી છે. જો મહિલા કોર્પોરેટરની બદલીમાં તેના પતિદેવો જ બધો વહીવટ કરવા મંડી પડે તો પછી મહિલા અનામતનો કોઇ મતલબ રહેતો નથી. અને જો એમ જ કરવું હોય તો પછી મહિલા અનામત શીટ નાબુદ કરી નાખવી જોઇએ.
તેમ છતાં જો આ અંગે તાકીદે યોગ્ય કરવામાં નહીં આવે તો અમારે નાછુટકે ગુજરાત રાજયના વિકાસ કમિશનર તથા સ્ટેટ ઇલેકશન કમીશનમાં ફરીયાદ કરવાની ફરજ પડશે, તેમજ ચુંટાયેલ મહિલા કોર્પોરેટરને મળતા હક્ક અધિકારોથી તેણીને વંચિત રાખવા બદલ નેશનલ હ્યુમન રાઇટસ કમિશન સમક્ષ પણ લેખિત રજુઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપતા જણાવ્યું છે.