સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

  • June 16, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બંદરો પરથી 9 અને 10 નંબરના સિગ્નલો હટાવાયા: ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને દરિયામાં જવું કે નહીં તેની હવે જાહેરાત થશે


વાવાઝોડાનું જોખમ પૂરું થયું છે પરંતુ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને અમુક જિલ્લાઓમાં ભારેથી સામાન્ય વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહીસાગર ગાંધીનગર અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં કચ્છ મોરબી રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર જામનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી ત્રણ દિવસ માટે આપવામાં આવી છે.



ભારે વરસાદની સાથો સાથ પવનની ગતિ પણ આ ત્રણ દિવસ દરમિયાન પ્રતિ કલાકના 30થી 40 કિલોમીટરની રહેશે અને અમુક તબક્કે એની ઝડપ વધીને 50 કિલોમીટર આસપાસ પહોંચી જવાની ચેતવણી આપવામાં આવી છે.



ગુજરાતના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમા મોહનતીએ જણાવ્યું છે કે વાવાઝોડાનું જોખમ પૂરું થવાથી બંદરો પર લગાવવામાં આવેલા નવ અને 10 નંબરના સિગ્નલો હટાવી લેવાયા છે અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે તે હાલ યથાવત છે. પરંતુ દરિયાની પરિસ્થિતિ જોઈને સાંજે નવેસરથી જાહેરાત આ બાબતે કરવામાં આવશે.




મુખ્યમંત્રી કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

વાવાઝોડાની પરિસ્થિતિના કારણે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં અને પોતાના ઘેર ઊભા કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં બેસીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર પરિસ્થિતિનું પળેપળનું નિરીક્ષણ કર્યા પછી હવે જ્યારે વાવાઝોડાનું જોખમ સમાપ્ત થયું છે ત્યારે આજે અથવા આવતીકાલે મુખ્યમંત્રી કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરે તેવી શક્યતા હોવાનું બહાર આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application