↵જામનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે આવતા મતદારોએ મતદાન કરવા અંગે શપથ લીધા
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જામનગરમાં આગામી તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, જામનગર ખાતે આવતા લોકોને આરીઓ કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી કે, "અમે, ભારતના નાગરિકો, લોકશાહીતંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું."