શિંદે જૂથના ઘારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે સ્પીકરના નિર્ણયને પડકારવા ઉદ્ધવ જૂથ સુપ્રિમ કોર્ટના શરણે

  • January 15, 2024 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓને બુધવારે એટલે કે 10 જાન્યુઆરીના સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી.


સ્પીકર નાર્વેકરે આ દરમિયાન કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણયથી શિવસેના (યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો લાગ્યો હતો.


એકનાથ શિંદેએ સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી પાસે બહુમતી છે. અમે પહેલેથી જ તે કહી રહ્યા છીએ. ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (યૂબીટી) નેતા સંજય રાઉત પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે.


આપને જણાવી દઇએ કે શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણયમાં સીએમ એકનાથ શિંદે, આરોગ્ય પ્રધાન ડૉ.તાનાજી સાવંત, રોજગાર પ્રધાન સંદિપનરાવ ભૂમરે, લઘુમતી વિકાસ પ્રધાન અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને યામિની જાધવનો સમાવેશ થાય છે. સાથે જ અનિલભાઈ બાબર, ડૉ. કિનીકર બાલાજી પ્રહલાદ, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમનરાવ રૂપચંદ પાટીલ, રમેશ બોરનારે, ડૉ. સંજય રાયમુલકર અને બાલાજી કલ્યાણકર પણ છે.


મહત્વનું છે કે, જૂન 2022માં એકનાથ શિંદે સહિત ઘણા ધારાસભ્યોએ તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ કારણે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, હાલ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને હાલ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ની સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ બીજેપીના સમર્થનથી શિંદે મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી, બંને જૂથો (એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે)એ શિવસેના પર દાવો કર્યો અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો. પંચે શિંદેની શિવસેનાને વાસ્તવિક શિવસેના ગણાવી હતી.


સ્પીકર નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો લાગ્યો છે. એટલે તેમણે સુપ્રિમ કોર્ટનું શરણું લીધું છે. એટલે હવે આ મામલે આગામી સમયમાં શું નવો વણાંક આવે છે તે વાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application