જામ્યુકોના તંત્રને નાગનાથ ગેઇટ પાસેની કેનાલ સાફ કરાવવા આજકાલે ટકોર કરી છતાં પણ સાફ ન થઇ: પ્રથમ વરસાદમાં જ છલકાઇ
કોર્પોરેશનની પ્રીમોન્સુન કામગીરી કેવી છે તેનું ભોપાળુ બહાર આવ્યું: ચોમાસામાં આવી કામગીરીથી શહેરની શું હાલત થશે? મ્યુ.કમિશનરે તાત્કાલિક પગલા લેવા જોઇએ તેવી માંગ
જામનગર શહેરમાં આજે ૧૧.૦૫ થી ૧૧.૨૫સુધીમાં માત્ર ૨૦ મીનીટમાં જ પોણો ઇંચ વરસાદ પડતા જામનગર મહાનગરપાલિકા દ્વારા કરાયેલા પ્રીમોન્સુન કામગીરીના લીરેલીરા ઉડયા હતા. હજુ થોડા સમય પહેલા જ આજકાલ દૈનિક દ્વારા ટકોર કરાઇ હતી કે નાગનાથ ગેઇટ પાસેની કેનાલ ઝડપથી સાફ કરાવો નહીંતર પાણી રસ્તા પર આવશે. અને આજે એવું જ થયુ પોણો ઇંચ વરસાદમાં કેનાલ છલકાઇ જતા નાગનાથ ગેઇટ પાસે પાણી રસ્તા પર આવ્યું હતું અને પ્રીમોન્સુન કામગીરી છતી થઇ હતી.
જામનગર કોર્પોરેશન દ્વારા દર વરસે રૂ. ૪૫ થી ૫૦ લાખ પ્રીમોન્સુન કામગીરી માટે વપરાય છે. જેમાં શહેરના ચારથી પાંચ ભાગ પાડીને ઝોન વાઇઝ કેનાલ સાફ કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ઉપરાંત નદીનાળા અને અન્ય કચરો પણ ચોમાસા પહેલા જ એટલે કે ૩૦ જૂન પહેલા સફાઇ કરવાનો હોય છે. પરંતુ આ વખતે ફરીથી પ્રીમોન્સુનની કામગીરી સામે આંગળી ચિંધાઇ છે. થોડા સમય પહેલા દરેડના ખોડીયાર મંદિર પાસેની કેનાલની હાલત શું છે તે અંગે જામનગરના મેયર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓ રૂબરૂ મુલાકાતે ગયા હતા અને જરૂરી સુચના આપી હતી. પરંતુ અન્ય વિસ્તારોમાં કેનાલ અંગે કોઇ સુચના આપી છે કે કેમ? તેવો પ્રશ્ર્ન ઉઠયો છે.
ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડની મુખ્ય કેનાલમાં કચરો હોય છે અને કેમીકલ વાળુ પાણી પણ આવે છે એ પાણી તળાવમાં ઠલવાય છે. અધિકારીઓ એવો દાવો કરે છે કે કેનાલ ચોખ્ખી ચણાક થઇ ગઇ છે પરંતુ તેમાં કચરો હોવાની ફરિયાદો ઉઠી છે. નાગનાથ ગેઇટ પાસેની કેનાલ આખી ભરેલી હતી તે અંગે થોડા દિવસ પહેલા જ આજકાલમાં ફોટા સાથે તેનો અહેવાલ છપાયો હતો છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા આજે કેનાલ છલકાઇ હતી અને પાણી બહાર આવ્યું હતું. આમ પ્રીમોન્સુનની કામગીરી છતી થઇ હતી.