જામનગરની શાળા નંબર ૧૯ ના વિદ્યાર્થીને માર માર્યો
આચાર્યએ ફડાકા ઝીંકયાનો આરોપ : બાળકને હોસ્પિટલ લઈ જવાયો : આગેવાનો દોડી આવ્યા : યોગ્ય કાર્યવાહીની માંગ
જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર ૧૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળક ને સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવાયો હતો. આ અંગેની જાણ થતા સમાજના આગેવાનો પણ હોસ્પીટલ પહોચ્યા હતા અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૧૯ માં ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે દિવસ પુર્વે શાળાના આચાર્ય રામભાઈએ બે તમાચા ચોડી દીધા હતા. આ બનાવથી ગભરાઈ ગયેલા બાળકે પોતાના ઘરે માતા-પિતાને જાણ કરી ન હતી. જ્યારે બાળકને કાનમાં દુખાવો થતાં તેના પિતાને વાત કરી હતી. હતી. પરિણામે પિતા પોતાના બાળકને સમાજના કેટલાક અગ્રણીઓને સાથે રાખીને હોસ્પિટલ પહોંચ્યા હતા. અને બાળકની સારવાર કરાવી હતી.
જ્યારે આ બાબતનું કારણ પૂછતા બાળકે જણાવ્યું હતું કે તેને લઘુ શંકા કરવા જવું હતું. અને ત્રણ વખત આચાર્યને પૂછવા છતાં જવાબ નહીં મળતા આચાર્યના ગોઠણમાં પોતાનો હાથ અડતા ઉશ્કેરાઈ ગયેલા આચાર્યએ બાળકને બે તમાચા ચોડી દીધા હતા. શાળાના એક શિક્ષક રજા પર હોવાથી તેમના સ્થાને આચાર્યએ અભ્યાસક્રમ ચલાવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
બીજી તરફ આ બનાવ અંગે લગત શિક્ષણ વિભાગને મોબાઈલ ફોન કરીને બનાવની જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. હવે આ મામલે સમાજ દ્વારા રજૂઆતો થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ બનાવમાં શિક્ષણ વિભાગ જવાબદાર સામે કેવા પગલા લે છે તે હવે જોવાનું રહે છે.