આપ અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેચણી, ગુજરાત સહીત 6 રાજ્યોમાં સમજૂતી 

  • February 24, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ દિલ્હીની ૩ સીટો પર અને આપ ૪ સીટો પર, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ૨ અને હરિયાણાની ૧ સીટ પર લડશે ચૂંટણી


લોકસભા ચૂંટણી પહેલા આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. બંને પાર્ટી દિલ્હી, ગુજરાત, હરિયાણા અને ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સીટોની વહેંચણી અંગે માહિતી આપી છે. દિલ્હીમાં, આપ ૭ માંથી ૪ લોકસભા બેઠકો - પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી અને પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી એમ ૩ બેઠકો પરથી પોતાના ઉમેદવાર નિયુક્ત કરશે.


આ અંગેની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં ૨૪ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની ૨ લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. હરિયાણા કુરુક્ષેત્રમાં એક સીટ આમ આદમી પાર્ટીને ગઈ છે. કોંગ્રેસ ચંદીગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસ ગોવાની બંને સીટો પર ચૂંટણી લડશે. ૨૦૧૪ અને ૨૦૧૯માં યોજાયેલી છેલ્લી ૨ લોકસભા ચૂંટણીમાં, ભાજપે ૫૦%થી વધુ વોટ શેર સાથે દિલ્હીની તમામ બેઠકો કબજે કરી હતી.


આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગોવાની બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. આમ આદમી પાર્ટી હવે દક્ષિણ ગોવાથી જાહેર કરાયેલા તેના ઉમેદવારનું નામ પાછું ખેંચી લેશે. આપે ગુજરાતની બે લોકસભા બેઠક - ભરૂચ અને ભાવનગર માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી અને આ બેઠક તેમના ખાતામાં ગઈ છે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા ચુંટણી લડશે. જ્યારે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડશે.


મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના હાથ માંથી ભરૂચ બેઠક છીનવાઇ 

ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. એવામાં હવે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમાતઝ પટેલના દાવાનું સૂરસૂરિયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે,'માનનીય રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું  સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઊતરીશ.'  ફૈઝલ પટેલની આ પોસ્ટ બાદ ફરી ચર્ચા ચાલુ થઈ ગઈ હતી કે ફૈઝલ પટેલને લોકસભાની ટિકિટ મળવાનું નક્કી થઈ ચુક્યું છે.  તો મુમતાઝ પટેલે પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ટિકિટની માંગ કરી હતી. આ ઉપરાંત મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનો અને જીતવાનો દાવો કર્યો હતો. એવામાં આજે અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાના સપના તૂટ્યું છે. ત્યારે આ મામલે મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું છે કે, “ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી માફી માંગુ છું. હું તમારી હતાશા સમજું છું. અમે સાથે મળીને કોંગ્રેસને કરીથી મજબૂત બનાવીશું. અમે અહેમદ પટેલના ૪૫ વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application