સર્વત્ર રામનામનો જયઘોષ, દેશની બજારો અને વેપારીઓ પણ થયા રામમય, જાણો શું છે દેશનો માહોલ?

  • January 20, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં આયોજીત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે બજારમાં રામ નામની વસ્તુઓના વેચાણમાં તેજી આવી ગઇ છે. રામ નામના કે અયોધ્યાના રામ મંદિરની તસવીર પરના ખાસ કપડા તેમજ ધ્વજ સહિતની અનેક ચીજ વસ્તુઓની ભારે માંગ બજારમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઠેર-ઠેર જગ્યાઓ પર રામનામના ધાર્મિક આયોજનો પણ થઇ રહ્યા છે. ત્યારે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે શ્રીરામ મંદિરના અભિષેક સમારોહ પહેલા દેશમાં રૂ. 1 લાખ કરોડના બિઝનેસનો અંદાજ મૂક્યો હતો. જે તેના લક્ષ્યની નજીક પહોંચી ગયો છે. અભિષેક સમારોહ શરૂ થવામાં હજુ 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. સંભવ છે કે વ્યવસાયનો આંકડો આ અંદાજ કરતાં વધી જશે. આ સાથે જ 22 જાન્યુઆરીએ દેશભરના બજારોમાં મહાદિવાળીની ઉજવણી કરવામાં આવશે.


ખંડેલવાલના કહેવા પ્રમાણે દેશભરમાં લોકો સંપૂર્ણપણે ભગવાન રામના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. સીએટી અંતર્ગત હજારો નાના-મોટા વેપારી સંગઠનોએ રામ ઉત્સવની જોરદાર તૈયારીઓ કરી છે. 22 જાન્યુઆરીએ ભારતભરમાં 'મેરે રામ'ની મોટી ઉજવણી થવાની ખાતરી છે. સીએટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાના જણાવ્યા અનુસાર 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હીમાં સીએટીના અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે બેઠક યોજી હતી. જેમાં દિલ્હી સહિત દેશભરની બજારોમાં રામની પૂજા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દેશભરની તમામ વેપારી સંસ્થાઓ શ્રીરામના કાર્યમાં લાગી ગઈ. સર્વત્ર શ્રીરામના કાર્યક્રમોનું પૂર જોવા મળી રહ્યું છે.


દેશભરમાં કેટલીક જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કેટલાક સ્થળો પર રામ ચોકીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ રામ સંવાદના કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. બજારોમાં શ્રીરામફેરી કાઢવામાં આવી છે. શ્રીરામની કીર્તન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. દિલ્હીના બજારોને રામના ઝંડાઓથી શણગારવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ બજારોને રોશનીથી ઝળહળતી કરવા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્રીરામ સાથે જોડાયેલી વસ્તુઓ મોટા પાયે વેચાઈ રહી છે. રામમંદિરના મોડલ હોય કે રામ ધ્વજ, માળા, લોકેટ, હાથની બંગડીઓ હોય કે શ્રીરામની લોકેટ આવી વસ્તુઓની બજારમાં ભારે માંગ છે. મોટી સંખ્યામાં સંગીતના કાર્યક્રમોમાં નાના કલાકારોને કામ પૂરું પાડવામાં આવ્યું છે. ભંડારાનું આયોજન કરવા માટે હલવાઈ અને કેટરર્સની અછત છે.


ખંડેલવાલે કહ્યું હતું કે, 21 અને 22 જાન્યુઆરીએ દેશભરમાં લગભગ 25 હજાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અયોધ્યાધામથી લાઈવ ટેલિકાસ્ટ દેશભરના બજારોમાં એલઈડી લગાવીને લોકોને બતાવવામાં આવશે. લોકોએ પોતાની દુકાનો અને ઘરોને ફૂલો અને રોશનીથી સજાવવાનું શરૂ કરી દીધું છે. બજારોમાં અને વેપારીઓના ઘરે મહાદિવાળીનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ દિલ્હીમાં એક હજારથી વધુ સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે તેની સારી એવી અસર અર્થતંત્ર પર પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application