જામનગરમાં શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરે કાલથી રામ કથાનો પ્રારંભ
નવ દિવસ દરમ્યાન શિવ વિવાહ, રામ જન્મોત્સવ, રામ વિવાહ,ભરત મિલાપ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર ખાતે આગામી ૮ એપ્રિલ ૨૦૨૬, બુધવાર આવતીકાલથી નવ દિવસીય ભવ્ય ’શ્રી રામકથા’નું મંગલમય આયોજન શ્રી ચૈતન્ય હનુમાન મંદિર (કનખરા ફાર્મ, સમાણા રોડ, લાલપુર બાયપાસ પાસે, જામનગર) ખાતે કરવામાં આવ્યું છે. મહંતશ્રી ભૈરવગીરી બાપુ અને મહંતશ્રી રતનગીરી બાપુના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં કાલાવડના પ્રખ્યાત વક્તા શાસ્ત્રી કે.પી.બાપુ પોતાની શૈલીમાં કથાનું રસપાન કરવાશે.
કથાનો પ્રારંભ ૮ એપ્રિલના રોજ બપોરે ૨:૧૫ કલાકે દેહશુદ્ધિ અને પોથી યાત્રા સાથે થશે. કથાનો દૈનિક સમય બપોરે ૨:૩૦ થી સાંજે ૯:૩૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.કથા દરમિયાન શિવ વિવાહ: ૧૦ એપ્રિલ, શુક્રવાર (સાંજે ૫:૦૦ કલાકે), શ્રી રામ જન્મોત્સવ: ૧૧ એપ્રિલ,શનિવાર (સાંજે ૫:૦૦ કલાકે), શ્રી રામ વિવાહ: ૧૨ એપ્રિલ, રવિવાર (સાંજે ૪:૦૦ કલાકે), શ્રી ભરત મિલાપ: ૧૩ એપ્રિલ, સોમવાર (સાંજે ૪:૦૦ કલાકે), હનુમાનજી ચરિત્ર: ૧૫ એપ્રિલ, બુધવાર (સાંજે ૪:૦૦ કલાકે) અને રામ રાજ્ય અભિષેક: ૧૬ એપ્રિલ, ગુરુવાર (સાંજે ૬:૦૦ કલાકે) સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.
કથાની સાથે રાત્રિના સમયે વિવિધ મંડળો દ્વારા ભજન અને ધૂનનું પણ વિશેષ આયોજન છે,જેમાં ૯ એપ્રિલ આધ્યાત્મિક ભજન સત્સંગ (કલાકાર: પ્રહલાદ કણઝારીયા, ઉમેશભાઈ ગોંડલિયા અને ગ્રુપ), ૧૦ એપ્રિલ સુંદરકાંડના પાઠ (શ્રી સીતારામ બાપુ રણજીતનગર મંડળ દ્વારા), ૧૧ એપ્રિલ શ્રી રામ ધૂન (ખિમલીયા મિત્ર મંડળ દ્વારા) અને ૧૪ એપ્રિલ શ્રી રામ ધૂન (શ્રી બાલા હનુમાન મંદિરના સેવકો દ્વારા)નો સમાવેશ થાય છે.
આ મહોત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ. ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ,દિવ્યેશ અકબરી સહિતના રાજકીય આગેવાનો હાજરી આપશે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ મેયર વિનોદભાઈ ખીમસૂરિયા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ કથાના મુખ્ય પોથી દાતા તરીકે ભવાનભાઈ ખીમજીભાઈ નકુમ અને જેરામભાઈ ખીમજીભાઈ નકુમ સેવા આપી રહ્યા છે. કથાના વિરામ બાદ દરરોજ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.