BREAKING NEWS

​ રેલવે ટ્રેક સુરક્ષાને મજબૂત કરવા માટે રાજકોટ ડિવિઝને પૂર્ણ કર્યું મહત્વપૂર્ણ માળખાકીય કાર્ય

  • June 03, 2026 09:41 AM 

​ રેલવે ટ્રેક સુરક્ષાને મજબૂત કરવા માટે રાજકોટ ડિવિઝને પૂર્ણ કર્યું મહત્વપૂર્ણ માળખાકીય કાર્ય

હાપા-ઓખા સેક્શનના ભાટિયા-ઓખામઢી વચ્ચે વધારાના ઓપનિંગનું નિર્માણ; ચોમાસામાં સુરક્ષિત અને સુચારુ રેલ પરિચાલન થશે સુનિશ્ચિત

​પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને હાપા-ઓખા મુખ્ય રેલવે લાઇનના ભાટિયા અને ઓખામઢી સ્ટેશનો વચ્ચે વધારાના ઓપનિંગ નિર્માણ કાર્ય અંતર્ગત આરએચ ગર્ડર (RH Girder) ની સફળતાપૂર્વક ડી-લોન્ચિંગ કરીને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આશરે 9 મહિનાના સમયગાળામાં પૂર્ણ થયેલા આ મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કાર્યનો ઉદ્દેશ્ય તે સ્થળે રેલવે ટ્રેકની સુરક્ષાને મજબૂત કરવાનો છે, જે અગાઉ બ્રીચ (ધોવાણ) અને પાણી ભરાવાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ રહ્યો છે. વર્ષ 2023માં આ સ્થળે રેલવે ટ્રેક ધોવાઈ જવાની ઘટના અને વર્ષ 2024માં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અહીં એક મજબૂત ડ્રેનેજ (જલ નિકાસ) વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

​નવનિર્મિત વધારાના ઓપનિંગના માધ્યમથી ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલમાં નોંધપાત્ર સુધારો થશે, જેનાથી પાણી ભરાવાની શક્યતા ઘટશે અને રેલવે ટ્રેકને ધોવાણથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે. આ કાર્ય ચોમાસા દરમિયાન આ મહત્વપૂર્ણ રેલવે લાઇન પર સુરક્ષિત, સુચારુ, વિશ્વસનીય અને અવિરત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

​રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવેલી આ સક્રિય એન્જિનિયરિંગ કામગીરી રેલવે માળખાને વધુ મજબૂત અને હવામાન સંબંધિત પડકારો સામે સક્ષમ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. આના માધ્યમથી મુસાફર અને માલગાડીઓનું અવિરત સંચાલન સુનિશ્ચિત કરવાની સાથે-સાથે પરિચાલન સંબંધી વિશ્વસનીયતામાં પણ વધારો થશે.

​આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ અંગે માહિતી આપતા રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "ચોમાસા દરમિયાન રેલ સુરક્ષા અને અવિરત પરિચાલન અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાપા-ઓખા સેક્શનના આ સંવેદનશીલ સ્થળે વધારાના ઓપનિંગનું નિર્માણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ એન્જિનિયરિંગ કાર્ય પૂર્ણ થવાથી માત્ર પાણી ભરાવાની સમસ્યાનો જ ઉકેલ નહીં આવે, પરંતુ આગામી ચોમાસામાં મુસાફરોને સુરક્ષિત અને સમયબદ્ધ રેલ સેવાનો લાભ પણ મળી શકશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application