શહેરના નાગેશ્ર્વરપાર્કમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળતચા ચકચાર

  • April 02, 2024 02:35 PM 


જામનગરના નાગેશ્ર્વર કોલોની નજીક આવેલ નાગેશ્ર્વરપાર્કમાં ખુલ્લા પ્લોટમાં આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઇ હતી, શ્ર્વાનો અન્ય સ્થળેથી મૃતદેહને ઢસડીને લાવ્યા અને મૃતદેહને ફાડી ખાધાનુ પ્રાથમિક તારણ નીકળ્યું છે, સીટી-બી ડીવીઝન પોલીસ ટુકડી સ્થળ પર દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોની નજીક આવેલ નાગેશ્ર્વર પાર્કમાં વાડીની સામેના ખુલ્લા પ્લોટમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં પડયુ હોવાની જાણ આ વિસ્તારના લોકોને થતા દોડી ગયા હતા અને આ અંગે સીટી-બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી, તાકીદે પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી અને બાળકીનો મૃતદેહ હોવાનુ જાણમાં આવતા કબ્જો સંભાળી આગળની તપાસ માટે પીએમ માટે મોકલી આપ્યો હતો.
સ્થાનીકોના જણાવ્યા મુજબ કોઇ શ્ર્વાન આ તરફ મૃતદેહ ખેંચીને લાગ્યુ હશે બાળકીના મૃતદેહનું માથુ અને હાથ ગાયબ હોય આથી શ્ર્વાનોએ મૃતદેહને ફાડી ખાધો હોવાનું અને નજીકમાં બાળકોનું સ્મશાન હોય આથી આ અંગેના અંકોડા મેળવવામાં આવી રહયા છે.
પ્રાથમિક તપાસમાં અન્ય સ્થળેથી નવજાત શિશુનો મૃતદેહ લાવ્યા હોય એવું તારણ લગાવીને આ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. દફનાવેલ બાળક શ્ર્વાનો ખેંચી લાવ્યા કે પછી કોઇ અજાણી સ્ત્રીનું કારસ્તાન છે એ તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસ ટુકડી દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી રહી છે હાલ બનાવના પગલે આ વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, પીએમ રીપોર્ટ અને પોલીસની જીણવટભરી તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application