જામનગર: મહોરમનો પવિત્ર પર્વ બેડી વિસ્તારમાં શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન
તાજીયાની પૂર્ણાહુતિ પ્રસંગે આગેવાનોએ પ્રશાસન, વિવિધ વિભાગો અને નાગરિકોનો વ્યક્ત કર્યો આભાર
મહોરમના પવિત્ર પર્વનો છેલ્લો દિવસ (અશુરા) તેમજ નીરાણની રાતે તાજીયાની પૂર્ણાહુતિ સમગ્ર બેડી વિસ્તારમાં શાંતિપૂર્ણ, ભાઈચારા અને પરસ્પર સૌહાર્દના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાતના આગેવાન આધુભા માણેક પટેલ, ભાડેલા પ્રમુખ સુલેમાન મુનરાઈ, કોર્પોરેટર ઇસ્માઇલ માણેક, છોટે સલીમ બાપુ સહિતના આગેવાનોએ મહોરમ દરમિયાન સતત સહયોગ અને સુચારુ વ્યવસ્થા જાળવવા બદલ પૂર્વ કેબિનેટ મંત્રી, ૭૭ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય, શહેરના ધારાસભ્યો, જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, PGVCL લાઇટ વિભાગ, ભૂગર્ભ ગટર શાખા, પાણી શાખા, લાઇટ શાખા, સફાઈ વિભાગ તેમજ અન્ય તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સાથે જ મહોરમના પવિત્ર પર્વમાં હાજરી આપી સહભાગી બનેલા બહારથી આવેલા મહેમાનો, સ્થાનિક આગેવાનો, સમાજના વડીલો, યુવાનો, સ્વયંસેવકો અને તમામ નાગરિકોનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આગેવાનોએ જણાવ્યું હતું કે તમામ સમાજના લોકોના સહકાર, પોલીસ પ્રશાસનની સતર્ક કામગીરી અને વિવિધ વિભાગોના સમયસરના આયોજનને કારણે મહોરમનો પર્વ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે જામનગરના ભાઈચારા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.