વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના અવિરત સુશાસનની ઉજવણી અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રે અનોખી પહેલ
જામનગર જિલ્લા હોમગાર્ડઝના સભ્યો દ્વારા ૧૨ હજારથી વધુ ‘સિડ્ઝ-બોલ’ તૈયાર કરાયા
જિલ્લા હોમગાર્ડ દ્વારા તૈયાર કરાયેલ સિડ્ઝ બોલ વરસાદની સિઝન પહેલાં જામનગર વન વિભાગને સુપ્રત કરાશે
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત ૧૨ વર્ષના અતૂટ વિશ્વાસ અને સુશાસનથી આજે દેશનો કરોડો સામાન્ય માનવી પ્રભાવિત છે. કેન્દ્ર સરકાર દ્વારા જનતાને આપવામાં આવેલી વિકાસની અમૂલ્ય ભેટોને જ્યારે દેશવાસીઓ વાગોળી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવારે પણ આ વિકાસયાત્રામાં સહભાગી થવા માટે એક પ્રશંસનીય અને પર્યાવરણલક્ષી પરંપરા શરૂ કરી છે. વડાપ્રધાનના આ ૧૨ વર્ષના સેવા-સુશાસનને વધુ મજબૂત બનાવવા અને ‘હરિયાળી ક્રાંતિ’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા ૧૨,૦૦૦થી વધુ જુદી-જુદી જાતના સિડ્ઝ-બોલ (બીજ ભરેલા માટીના દડા) તૈયાર કરવામાં આવ્યા છે.
આ સિડ્ઝ-બોલ બનાવવા માટે ચીકણી કાળી માટી સાથે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ઉત્તમ ગુણવત્તાવાળા છાણના ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિડ્ઝ-બોલમાં પ્રકૃતિને અનુકૂળ એવા વિવિધ વૃક્ષો જેવા કે સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો અને ગુલમોહરના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોમગાર્ડઝ પરિવાર દ્વારા તૈયાર કરાયેલા આ તમામ ૧૨,૦૦૦થી વધુ સિડ્ઝ-બોલ આગામી સમયમાં જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે, જેથી આગામી ચોમાસાની સિઝન પૂર્વે વન વિભાગ દ્વારા તેનો યોગ્ય ઉપયોગ કરી નિયત વિસ્તારોમાં વાવણી કરીને હરિયાળી ક્રાંતિ લાવી શકાય.
પર્યાવરણ જતનની આ ભગીરથ કામગીરીને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ હોમગાર્ડઝની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં કાલાવડ યુનિટના ઓફિસર રામભાઈ મેવાડા અને તેમની ટીમ, જોડિયા યુનિટના ઓફિસર હિતેન્દ્રગીરી ગોસ્વામી અને તેમની ટીમ, તેમજ ધ્રોલ યુનિટના ઓફિસર જે. કે. પરમાર અને તેમની ટીમ જોડાયા હતા. આ ઉપરાંત, જિલ્લા અને શહેર યુનિટના ઓફિસરો સર્વશ્રી ઋષિરાજ જેઠવા, કૈલાસ જેઠવા, જયેશ રાણા, રાજેન્દ્ર ઓઝા, હિમાંશુ પુરોહિત, જયેન્દ્ર કણજારીયા, જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા સહિત હોમગાર્ડઝના ભાઈઓ તથા બહેનોએ ખંતપૂર્વક પોતાની સેવાઓ આપીને આ અનોખા અભિયાનને સફળ બનાવ્યું હતું.