મમતા બેનર્જી અને ભગવંત માને ‘ઇન્ડિયા’ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

  • January 24, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળ માંથી મમતા અને પંજાબ માંથી એકલા ચુંટણી લડશે ટીએમસી અને આપ, કોંગ્રેસે કહ્યું “અમારે ટીએમસી તરફથી કોઈ ભિક્ષાની જરૂર નથી”


લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ઇન્ડિયા’ ગઠબંધનમાં મોટું ગાબડું પડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ 'એકલા ચલો'નો નારો આપ્યો છે અને  લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. તો આપે પણ પંજાબમાં કોંગ્રેસને એક પણ સીટ આપવાનો ઇનકાર કરી એકલા જ ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી અને પંજાબના સીએમ ભગવંત માંની આ જાહેરાત સાથે જ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.


મમતા બેનર્જીએ આ જાહેરાત કરી તેમાં ઉપેક્ષાની પીડા અને કડવાશ દેખાઈ રહી હતી. કેમ કે તેમણે કહ્યું કે મેં જે પણ સૂચનો આપ્યાં હતાં, તે બધા ફગાવી દેવામાં આવ્યાં છે. આ બધા પછી અમે એકલા જ ચુંટણી લડવાનું નક્કી કર્યું છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે આવવાના છે, આ અંગેની માહિતી તેમને સૌજન્ય તરીકે પણ આપવામાં આવી નથી.


ટીએમસી સુપ્રીમોએ કહ્યું કે આ બધાને લઈને અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ગતરોજ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિત અન્ય ગઠબંધન ભાગીદારોના અગ્રણી નેતાઓને પણ બોલાવવામાં આવશે. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે પહેલેથી જ કહ્યું છે કે કોંગ્રેસે ચૂંટણી લડવા માટે પ્રાદેશિક પક્ષોને તેમના વિસ્તારોમાં ભાજપ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપવી જોઈએ પણ હવે જો તેઓ દખલ કરશે તો આપણે ફરીથી વિચારવું પડે તેમ છે. તેમણે મહાગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.


નોંધનીય છે કે ટીએમસીએ સ્પષ્ટ કર્યું હતું કે તે કોંગ્રેસને બે બેઠકો આપશે. કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી બે બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે  કહ્યું હતું કે અમે ત્યારે બે બેઠકો જીતી હતી અને હવે પણ જીતી શકીએ છીએ. અમારે ટીએમસી તરફથી કોઈ ભિક્ષાની જરૂર નથી. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે ૨૮ વિપક્ષી દળો ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એક મંચ પર એકઠા થયા હતા. વિપક્ષ એકજૂથ થઈને બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએને હરાવવા અને તેને ચૂંટણીલક્ષી પડકાર આપવાનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ હવે માયાવતી બાદ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.




અમે જાણીએ છીએ સરકાર કેવી રીતે બનાવવી અને કેવી રીતે ચલાવવી : સીએમ માન


મમતા બેનર્જીની જાહેરાત બાદની ગણતરીની કલાકોમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે નથી જઈ રહ્યા. માને કહ્યું કે આપ પંજાબની તમામ ૧૩ લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. ભગવંત માન ગઠબંધનના પક્ષમાં ન હતા. તેમણે ઘણી વખત જાહેર મંચ પરથી એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આપ અને કોંગ્રેસ સતત આગ્રહ કરી રહ્યાં છે કે તેઓ પંજાબની તમામ બેઠકો પર પોતપોતાના ઉમેદવારોને ઉભા રાખે. બંને પક્ષો પંજાબમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવાની સાથે ચૂંટણી પરિણામો તેમના પક્ષમાં આવશે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે. સીએમ માને કહ્યું હતું કે “આપએ ૨૦૨૨ની પંજાબ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી અને ૧૧૭માંથી ૯૨ બેઠકો જીતી હતી અને દિલ્હીની ચૂંટણીમાં ત્રણ વખત જીત મેળવી છે અને ગુજરાતમાં પોતાના દમ પર ૧૩% મત મેળવ્યા છે. આપ રાષ્ટ્રીય પક્ષ બનનાર સૌથી યુવા પક્ષ છે. અમે એ પણ જાણીએ છીએ કે સરકાર કેવી રીતે બનાવવી અને કેવી રીતે ચલાવવી.”





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application