પાવર ચોરી કરતા ભાણવડના શખ્સના પાપે વીજકર્મીનો જીવ ગયો: આરોપી જેલ હવાલે

  • May 13, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા એક શખ્સ દ્વારા પાવર ચોરી કરતા વીજ પોલ પર કામ કરી રહેલા કર્મચારીને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં ભાણવડ પોલીસે આરોપીને ઝડપી લઇ, જેલ હવાલે કરી દીધો હતો.
આ પ્રકરણ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર સંદીપભાઈ પટેલ દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે જીઈબીના કર્મચારી હિતેશભાઈ ભારવાડીયા થોડા દિવસો પૂર્વે ભાણવડ નજીક આવેલા ભરતપુર ફીડરનું એલ.સી. (લાઇન ક્લિયર) અંગેનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી એવા ભરતપુર ગામના રહીશ જુમા સલેમાનભાઈ હીંગોરા નામના સંધી શખ્સ દ્વારા ભરતપુર ફીડરના ઘર વપરાશના વીજ લાઈનમાં એલ.સી. (લાઈન ક્લિયર પરમીટ)ના કારણે તેની વાડીના રહેણાંક મકાનમાં પાવર કટ થયો હતો.
ત્યારે આરોપી જુમા હિંગોરા દ્વારા તેનાજ વાડીમાં મોખાણા ફીડરનું ખેત વપરાશ માટેનું કનેક્શન હોય, તેમાંથી પાવર ચોરી કરી અને ઘર વપરાશ માટે પાવર લેતા આ પાવર રિટર્ન ભરતપુર ફીડરમાં જતા જી.ઈ.બી.ના કર્મચારી જે વીજ પોલ પર કામ કરી રહ્યા હતા ત્યાં તેમને જોરદાર વિજશોક લાગ્યો હતો. જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આમ, આરોપી પોતે જાણતા હોય કે મોખાણા ફીડર કે જે ખેત વપરાશ માટેનું છે, અને તેમાંથી પાવર લેશે તો રિટર્ન પાવર થવાના કારણે જાનહાની થશે અને કોઈનું મૃત્યુ નીપજશે આમ છતાં પણ પાવર ચોરી કરતા હિતેશભાઈ ભારવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસ દ્વારા કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા વિવિધ પુરાવાઓ એકત્ર કરી અને આરોપીની અટકાયત કર્યા બાદ તેને જામનગર જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ ચોરી માટે લંગરીયા નાખતા આરોપી જુમા સુલેમાન સામે પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ વીજ ચોરી અંગેનો અલગ કેસ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application