જાણીલો, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણને ઠુકરાવતા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ 22મી જાન્યુઆરીના શું કરશે?

  • January 18, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યાના રામમંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામલલાના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યા ખાતે અલગ જ પ્રકારે ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. દેશભરમાં રામમય માહોલ છે. ત્યારે આ તરફ રામ મંદિર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ડામાં છે, તેથી અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ એક રીતે તેના મિશનની પૂર્ણાહુતિ છે. ચૂંટણીની મોસમ વચ્ચે આ સમારોહ યોજાઈ રહ્યો છે. વિવિધ પક્ષો ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. એટલું જ નહી વિપક્ષી નેતાઓ તો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપનો કાર્યક્રમ ગણાવી રહ્યા છે. આથી, ગઠબંધનના મોટાભાગના નેતાઓએ અભિષેક સમારોહથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ત્યારે એ પણ જાણીએ કે, આ દિવસે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ શું કરવાના છે.


તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસે કોલકાતામાં હશે. તે કાલીમાતાના મંદિરમાં પૂજા પાઠ કરવાના છે. મંદિરમાં દર્શન કર્યા બાદ મમતા એક રેલી પણ કરશે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા આપણું કામ નથી તે સાધુ-સંતોનું કામ છે. અયોધ્યા જઈને શું કરીશું? રાજકારણીઓ તરીકે અમારું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે, જે હું કરીશ.


શિવસેના (યૂબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે 22મીએ નાસિકમાં ગોદાવરી નદીના કિનારે મહાઆરતી કરશે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ રામમંદિરનો અભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો હોવાથી આ દિવસે શિવસેના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે મહાઆરતી કરશે.


મહાગઠબંધનના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસે આસામમાં હશે. તેઓ શંકરદેવના જન્મસ્થળ નૌગાંવ જિલ્લાના બરદૌવા નજીક અલીપુખુરી ખાતે હશે. શંકરદેવ આસામના મહાન સંત છે અને દરેક ઘરમાં પૂજાતા દેવ છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. તેની યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. તેની શરૂઆત મણિપુરથી થઈ હતી. રાહુલ ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ આરએસએસ અને ભાજપનો છે. જેને સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીનું કાર્ય બનાવી દેવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે રાજકીય કાર્યક્રમ બની ગયો છે. આરએસએસ અને બીજેપીએ 22મી તારીખને ચૂંટણીની ફ્લેવર આપી છે. તેથી જ તેઓ આ કાર્યક્રમમાં સામેલ નહી થાય.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ 22મીએ અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહી આપે. તેમણે કહ્યું છે કે, આ કાર્યક્રમ માટે તેમને આમંત્રણ મળ્યું નથી. તેઓ તેમના પરિવાર સાથે રામમંદિરના દર્શન કરવા ઇચ્છે છે. અભિષેક સમારોહ બાદ તેઓ અયોધ્યા જશે. નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી દિલ્હીમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરી રહી છે. કેજરીવાલે પોતે મંગળવારે રોહિણી મંદિરમાં સુંદરકાંડ પાઠ અને હવન પૂજા કરી હતી. આ દરમિયાન આપના ધારાસભ્યો, કાઉન્સિલરો અને પાર્ટીના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.


એનસીપીના વડા શરદ પવારને પણ અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. તેઓ પણ આ સમારોહમાં હાજર નહીં રહે. તેમણે નિમંત્રણ માટે પત્ર લખી આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ તેઓ મુક્તપણે સમય કાઢીને દર્શન માટે આવશે.


આ તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્વનું નિમંત્રણ ઠુકરાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, અમે જેમને ઓળખતા નથી તેમનું નિમંત્રણ સ્વીકારતા નથી. રામ ભગવાન બોલાવશે ત્યારે આવીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application