જામનગરની આરટીઓ કચેરીમાં બોમ્બ મુકાયાના મેસેજથી દોડધામ
અફવાને પગલે આજે કામકાજ બંધ રખાયું : જુદી જુદી ટુકડીઓ દ્વારા સધન તપાસ
ગુજરાત રાજ્યની અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને જામનગર સહિતની અતિ મહત્વપૂર્ણ આર.ટી.ઓ. કચેરીઓમાં બોમ્બ મુકાયાની અફવા ફેલાતા સુરક્ષાના હેતુસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિતના મુખ્ય શહેરોની કચેરીઓમાં આજના દિવસ દરમિયાન કામકાજ બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જામનગર આર.ટી.ઓ. કચેરી ખાતે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સમગ્ર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ, બોમ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ વગેરેને દોડાવવામાં આવી રહી છે. સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જામનગરની આરટીઓ કચેરી ની સુરક્ષા એજન્સી દ્વારા તમામ ખૂણે ખૂણામાં ચેકિંગ કરી લેવાયું છે, અને માત્ર સ્ટાફને જ પ્રવેશ અપાયો છે. જાહેર જનતાને આજે અંદર પ્રવેશ અપાયો નથી, તેમ જ કામકાજ બંધ રખાયું છે.
રાજ્યના અન્ય શહેરોમાં પણ સમાન તકેદારીના ભાગરૂપે આર.ટી.ઓ. કચેરીઓ તાત્કાલિક બંધ રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા પૂર્વ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આજે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે કચેરી ખાતે મેલ આવ્યો હતો જેમાં બોમ્બ મુકાયાનું જણાવ્યુ હતુ અને ૧૩ બોમ્બ ફુટશે તે પણ ઉલ્લેખ કરાયો હતો દરમ્યાન લગત કચેરી દ્વારા એસપી, સીટી-સી અને બોમ્બ સ્કવોડને જાણ કરવામાં આવતા ટુકડીઓમાં દોડધામ મચી હતી અને સધન તપાસ આદરવામાં આવી હતી.
નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ મુજબ કામકાજ ફરી શરૂ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ બનાવને કારણે આજના દિવસ દરમિયાન અરજદારો અને સેવાઓ માટે આવેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.