પીએમ કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ બાયોમેટ્રિક પદ્ધતિથી વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત
જામનગર તા.૧૦, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવી જોગવાઈ અન્વયે, લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા એપ્રિલથી જુલાઈના રિલીઝ થતા પહેલાં આ વાર્ષિક પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે, જેથી કોઈ પણ પાત્ર ખેડૂત યોજનાના લાભથી વંચિત ન રહી જાય. જે ખેડૂતોના સ્ટેટસમાં હાલ ‘Ekyc: Yes’ દર્શાવતું હોય, તેઓ પણ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આ વાર્ષિક ઈ-કેવાયસી કરાવી શકે છે. ૧ એપ્રિલ ૨૦૨૬ પછી જે લાભાર્થીઓએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમણે આગામી હપ્તાની સહાય મેળવવા માટે તાકીદે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું પડશે.
સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે ૦૪ સરળ પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે. જેમાં (૧) ખેડૂતો પોતે જ પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી, તેમાં "Login" માં જઈ "Login Type" તરીકે "Beneficiary" ઓપ્શન પસંદ કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબરની મદદથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તેમજ અન્ય ૧૦૦ લાભાર્થીઓનું ઈ-કેવાયસી ઘરે બેઠા જ વિનામૂલ્યે કરી શકે છે.
(૨) ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી ઈ-કેવાયસી કરાવી શકાય છે.
(૩) ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતના "ઈ-ગ્રામ" કેન્દ્ર ખાતે રૂબરૂ જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (અંગૂઠા કે આંગળીના નિશાન) દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે.
(૪) આ ઉપરાંત, બાકી રહી ગયેલા લાભાર્થીઓ તાલુકા કક્ષાના લોગ-ઈન આઈડીમાં ‘Correction Module >> Biometric e-KYC PM Kisan’ પર જઈને પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો સમયસર અને કોઈપણ અવરોધ વિના સીધો બેંક ખાતામાં જમા થાય તે માટે તમામ ખેડૂત મિત્રોને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની વાર્ષિક ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.