ગુજરાત સરકારનો અભિનવ અભિગમ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના

  • March 10, 2023 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્યંત આવશ્યક અને પુજનીય પ્રાણી છે. હિન્દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દુધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. તદઉપરાંત તેના મળમુત્ર અને છાણ પણ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી ગાયને કામધેનું પણ કહેવાય છે. 


પ્રાચીન સમયમાં સોનારૂપા સાથે ગાયોનું દાન ખૂબ મહત્વપૂર્ણ ગણાતું હતું. ઘરમાં ગાયોની સંખ્યા સમૃધ્ધિનું પ્રતીક મનાતી હતી. ઘરમાં પોતીકો કુવો, આંગણામાં તુલસી અને પીપળાનું વૃક્ષ તથા આંગણે ગાયનું હોવું ઘરની પવિત્રતામાં વૃધ્ધિજનક મનાતું હતું. આમ ગાય એ પુરાતન કાળથી જ માનવ જીવન સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. 


વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્તિ ધામ અંબાજી ખાતેથી કરાવ્યો હતો. 


આ યોજના હેઠળ, ગાયોની જાળવણી માટે કાર્યરત ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકને પશુ દીઠ પ્રતિ દિન ૩૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેનાથી ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને ગાયોને અપાતા ખોરાક-પાણી-સારવારનું સુદ્ઢ સંચાલન કરીને ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના સંચાલન માટે સરકાર દ્વારા રૂ. ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.


આ  યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ યોજનાના ત્વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે. જ્યારે જામનગરના કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે જામનગર જિલ્લાની ગૌશાળા તથા પાંજરાપોળો માટે ત્વરિત સહાય ચુકવી આ યોજનાને વધુ લાભદાયી અને ફળદાયી બનાવી છે. 


આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો.તેજસ શુકલએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને સહાય ચુકવવાની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી મંજુર કરવામાં આવે છે જ્યારે એક હજારથી ઓછું અને ત્રણ હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવે છે.જે સહાય ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચૂકવવામાં આવે છે. જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા ૨૨ સંસ્થાના ૪,૩૦૧ પશુઓ માટે દૈનિક રૂપિયા ૩૦ લેખે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસના ૯૨ દિવસના ૧,૧૮,૭૦,૭૬૦ની રકમ ચૂકવવામાં આવી છે.



મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓ અને પાંજરાપોળની રખડતી ગાયો અને તેમના વાછરડાંઓની જાળવણી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના થકી રસ્તાઓ પર રખડતી ગાયોને રક્ષણ અને સુરક્ષા મળશે અને સાથે સાથે સામાન્ય જનતાને પણ રખડતી ગાયોથી થતા નુકસાનથી બચાવી શકાશે. ગૌ માતા પોષણ યોજના ગુજરાત ૨૦૨૩ નો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને રખડતી ગાયોને અકસ્માત, રોગ અને શારીરિક વેદનાથી બચાવવાનો છે.


આ સહાય માટે અરજી કરવા માટેની લાયકાતમાં જોઇએ તો ગૌશાળા અને પાંજરાપોળ ૩૧/૦૩/૨૦૨૨ પહેલા રજીસ્ટર્ડ થયેલી હોવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application