શ્રીજેશને લઈને હોકી ઈન્ડિયાનો મોટો નિર્ણય : મળ્યું ધોની-સચિન જેવું સન્માન

  • August 14, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે ટોક્યો ઓલિમ્પિક (2020)માં પણ આ સિદ્ધિ મેળવી હતી.




શ્રીજેશને હોકી ઈન્ડિયાનો મોટો નિર્ણય




ભારતીય ટીમના ઐતિહાસિક પ્રદર્શનમાં ગોલકીપર પીઆર શ્રીજેશે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગોલકીપર તરીકે પીઆર શ્રીજેશ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ગોલને ચટ્ટાનની જેમ બચાવતો રહ્યો. પેરિસ ઓલિમ્પિક સાથે જ શ્રીજેશે આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું. શ્રીજેશે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે પેરિસ ઓલિમ્પિક તેની છેલ્લી ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે.




હવે હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને સન્માનિત કર્યા છે. હોકી ઈન્ડિયાએ શ્રીજેશને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. એટલું જ નહીં શ્રીજેશની 16 નંબરની જર્સી પણ રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આનો મતલબ એ છે કે, કોઈપણ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય હોકીમાં 16 નંબરની જર્સી પહેરી શકશે નહીં. જો કે, જર્સી નંબર 16 જુનિયર સ્તરે ઉપલબ્ધ રહેશે, જેથી શ્રીજેશ જેવા નવા સ્ટારની શોધ થઈ શકે.




હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ જાહેરાત કરી હતી કે, લગભગ બે દાયકાથી 16 નંબરની જર્સી પહેરનાર 36 વર્ષીય શ્રીજેશ જુનિયર રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે. શ્રીજેશના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભોલા નાથે કહ્યું, 'શ્રીજેશ હવે જુનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે અને અમે સિનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત કરી રહ્યા છીએ. અમે જુનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત નથી કરી રહ્યા. શ્રીજેશ જુનિયર ટીમમાં તેના જેવા ખેલાડીને તૈયાર કરશે જે 16 નંબરની જર્સી પહેરશે.




સચિન-ધોનીની ક્લબમાં જોડાયા શ્રીજેશ



રમતગમત જગતના દિગ્ગજ ખેલાડીઓની જર્સી નિવૃત્ત કરવી એ નવી વાત નથી. 2017 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની નંબર-10 જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ BCCIએ 2023માં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application