અયોધ્યાના રામમંદિર માટે દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ, જાણી લો કોણે આપ્યુ રેકોર્ડબ્રેક દાન

  • January 11, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં રામ મંદિર સમારોહની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે અને તે જ દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. રામ ભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે અને પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે, જેમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ.5500 કરોડથી વધુનું દાન મળી ગયું છે અને આ મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે. ગુજરાતમાંથી બે એવા લોકો છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.


રામ મંદિર માટે સૌથી વધુ દાન આપનારની યાદીમાં મોરારી બાપુનું નામ ટોચ પર છે. ગુજરાતના મોરારી બાપુએ રામમંદિર માટે અત્યાર સુધીનું સૌથી વધુ દાન આપ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મોરારીબાપુએ રામમંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.


અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિર માટે દાન આપનારાઓમાં મોરારીબાપુ બાદ સૌથી વધુ દાન આપનારા ગુજરાતના એક ઉદ્યોગપતિ પણ છે. જીહા, ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામમંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફંડ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે  તેમણે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને 11 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. ગોવિંદભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન હેડલાઈન્સમાં રહે છે, કારણ કે તેઓ તેમના સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી અને મોંઘી ભેટ આપે છે.


આપને જણાવી દઇએ કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામમંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. રામમંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ફંડ જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી. જેમાંથી પ્રાપ્ત થયેલા વ્યાજ સાથે રામ મંદિરનું હાલનું સ્વરૂપ એટલે કે પ્રથમ માળનું નિર્માણ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application