સુપ્રીમે જામીન મંજુર કર્યા છતાં ઉદ્યોગપતિના રિમાન્ડ લેવાતા કોર્ટની ટીપ્પણી, “એવું લાગે છે કે ગુજરાત અલગ કાયદાનું પાલન કરે છે કેમ કે આ અમારા આદેશોનું ચોખ્ખું ઉલ્લંઘન છે”
આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે છતાં સુરતના એક ઉદ્યોગપતિની પોલીસ રિમાન્ડને સુપ્રીમ કોર્ટે "સૌથી ગંભીર અવમાનના" તરીકે ગણાવી છે, અને ટીકા કરતા કહ્યું છે કે મેજિસ્ટ્રેટને ટ્રેનિંગ આપવાની જરૂર છે. અરજદારે રાજ્યના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ગુજરાત પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેક્શન પિટિશન દાખલ કરી છે અને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા, તેમ છતાં મેજિસ્ટ્રેટ દ્વારા તેમને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમે કહ્યું કે, મેજિસ્ટ્રેટને ટ્રેનિંગ આપવાની જરૂર છે અને પ્રશ્ન પણ કર્યો કે, ગુજરાતમાં નીચલી અદાલતે એવી પ્રથા કેવી રીતે અપનાવી છે કે જે કેસમાં આરોપીને આગોતરા જામીન આપવામાં આવ્યા હોય તે કેસમાં પોલીસને રિમાન્ડ માંગવાની સ્વતંત્રતા આપી શકે ?
સુરત સ્થિત ઉદ્યોગપતિના પોલીસ રિમાન્ડ પર ભારે નારાજગી વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટે ૧૦ જાન્યુઆરીએ કેટલાક પોલીસ અધિકારીઓ અને સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે તેણે ગયા વર્ષે ૮ ડિસેમ્બરે અરજદાર તુષારભાઈ રજનીકાંતભાઈ શાહને આગોતરા જામીન મંજૂર કર્યા હતા, પરંતુ તેમને છેતરપિંડીના કેસમાં ૧૩ થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી હતી કે આવી પ્રથા આગોતરા જામીનના સિદ્ધાંતને નષ્ટ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયિક મેજિસ્ટ્રેટને યોગ્ય તાલીમ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પ્રતિવાદી બનાવ્યા છે અને તેમને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સંબંધિત અધિકારી સામે વિભાગીય કાર્યવાહી ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં સામાન્ય રીતે જામીનના આદેશમાં એવું લખવામાં આવે છે કે તપાસ અધિકારીને રિમાન્ડ માટે અરજી કરવાની સ્વતંત્રતા હશે. આથી આ ભૂલ થઈ હતી અને રિમાન્ડ માટેની અરજી કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટ આવી જોગવાઈ લાદશે તો આરોપીના આગોતરા જામીનની જોગવાઈ અર્થહીન બની જશે. સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આપવામાં આવેલી આગોતરા જામીનની જોગવાઈનો હેતુ નિષ્ફળ જશે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે, 'જો તમે આ પ્રથાનું પાલન કરશો તો ગુજરાતને શિક્ષિત કરવાની જરૂર છે. મેજિસ્ટ્રેટને પણ શિક્ષિત કરવાની જરૂર છે. તમારા અમદાવાદમાં આવી સુંદર તાલીમ એકેડમી છે.’
ખંડપીઠે કહ્યું કે એ યોગ્ય રહેશે કે ગુજરાત હાઈકોર્ટ પણ સર્વોચ્ચ અદાલતના નિર્ણય પહેલા સુનાવણી કરે. કોર્ટે રજિસ્ટ્રાર જનરલ મારફત હાઈકોર્ટને નોટિસ પાઠવી અને બે અઠવાડિયા પછી સુનાવણી માટે આ મામલાની યાદી આપી. શાહના વકીલે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે તેમની પાસેથી ૧.૬૫ કરોડ રૂપિયા વસૂલવા માટે કેસમાં ફરિયાદીની હાજરીમાં તેમને ધમકી આપવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ૧૦ જાન્યુઆરીના રોજ બેન્ચે કહ્યું હતું કે, "એવું લાગે છે કે ગુજરાત અલગ-અલગ કાયદાઓનું પાલન કરે છે. વિશ્વની હીરાની રાજધાનીમાં આવું થઈ રહ્યું છે. આ અમારા આદેશોનું શુદ્ધ ઉલ્લંઘન છે."
શાહ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ ઈકબાલ એચ સૈયદ અને એડવોકેટ મોહમ્મદ અસલમે કહ્યું હતું કે તેઓએ જ્યારે અરજદાર પોલીસ કસ્ટડીમાં હત્યા ત્યારે સુરતના વેસુ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી સાચવવા માટે પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સુરત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સંબંધિત વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટને નોટિસ પાઠવી હતી અને ૨૯ જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો હતો.
તેમની અરજીમાં, શાહે જણાવ્યું હતું કે, સુપ્રીમે અદાલતે ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ આદેશ આપ્યો હતો કે તેમની ધરપકડની સ્થિતિમાં, ૨૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજની એફઆઈઆરના સંબંધમાં તેમને ૨૫,૦૦૦ના વ્યક્તિગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવે. આ બાદ તેઓ ૧૧ ડિસેમ્બરે તપાસમાં જોડાવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે તે જ દિવસે તેની ધરપકડ કરી અને તેણે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ બોન્ડ ચૂકવ્યા બાદ તેને જામીન પર મુક્ત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech