રવિવારે રાજયપાલ જામનગરના લાખાબાવળ સ્થિત વેદગર્ભ વિહારની મુલાકાતે
સાંસદ, રાજયમંત્રી, મેયર તથા આર્યુ. યુનિવર્સિટીના તબીબો રહેશે ઉપસ્થિત
જામનગરમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશન અને મધુરદ્વૈત આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર માટે લાખાબાવળ ખાતે ખાસ તૈયાર કરવામાં આવેલાં વેદગર્ભ વિહાર (ઇકો વિલેજ) અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન તપોવન સંશોધન કેન્દ્રના લોકાર્પણ માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૨ જુલાઈ રવિવારે જામનગરના લાખાબાવળ સ્થિત વેદગર્ભ વિહારની મુલાકાતે પધારી રહ્યા છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રાચાર્ય અને ગોવિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો હિતેશ જાનીના માર્ગદર્શનથી ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાનનું આ વિશેષ સંશોધન કાર્ય આગળ વધી રહ્યું છે, ત્યારે આ કાર્યને પ્રત્યક્ષ નિહાળવા અને પ્રોત્સાહન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેનાર છે, તે જામનગર માટે ગૌરવની બાબત બની રહેશે.
આ લોકાર્પણ સમારોહમાં સન્માનનીય મહાનુભાવો જામનગરના સાંસદ પૂનમબેન માડમ રાજ્યના શિક્ષા રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, આઈટીઆરએના ડાયરેક્ટર ડો. તનુજા નેસરી તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશ જૈન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી એસ જોષી તથા આયુર્વેદ વ્યાસપીઠ કેન્દ્રીય અધિકારીઓ અને રાજ્યના પદાધિકારીઓ તથા લાખાબાવળ અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. રવિવાર તા.૧૨ જુલાઈના સવારે ૯ કલાકે યોજાયેલા આ લોકાર્પણના કાર્યક્રમ માટે ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના સીઈઓ અને જાણીતા આયુર્વેદિક ગાયનેકોલોજિસ્ટ ડો.કરિશ્મા બહેન નારવાણીની યાદીમાં જણાવાયુ છે.