લોખંડનો દરવાજો માથે પડતા પાંચ વર્ષની બાળકીનું મોત

  • October 01, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં જુદા જુદા બે બનાવમાં બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં મણિભદ્ર એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રમતી પાંચ વર્ષની બાળકી ઉપર લોખંડનો ડેલો પડતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું જયારે દૂધ સાગર રોડ પરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ચારેક દિવસ પહેલા રમતા રમતા ત્રણ વર્ષનો બાળક ગરમ દૂધની તપેલી ઉપર પડતા દાઝી જવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શક્યો નહતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં મણિભદ્ર એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતા મૂળ નેપાળના પરિવારની પાંચ વર્ષની પુત્રી સ્વરા શંકરભાઈ રાય ગઈકાલે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી હતી ત્યારે અચાનક લોખંડનો દરવાજો માથે પડતા અવાજ આવવાથી તેની માતા સહિતના દોડી ગયા હતા અને બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ક્રાઈષ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ દ્વારા ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
બીજા બનાવમાં દૂધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા કૃણાલભાઈ તિવારીનો ત્રણ વર્ષનો પુત્ર મિહિર ગત તા.27ના ઘરે સેટી ઉપર રમતો હતો ત્યારે સેટી ઉપરથી છલાંગ લગાવતા નીચે જમીન પર ગરમ કરેલા દૂધની તપેલી રાખવામાં આવી હોઈ તેના ઉપર પડતા શરીરે દાઝી જવાથી પ્રથમ જિનેસિસ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડાતા ગત રાત્રીના આંખ મીંચી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃતક મિહિર એક ભાઈ બહેનમાં મોટો હતો અને કૃણાલભાઈ એચ.જે.સ્ટીલ કારખાનામાં નોકરી કરે છે. પરિવાર મૂળ યુપીના અયોધ્યાનો રહેવાસી છે. બનાવના પગલે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application