↵જામનગર: આગામી દિવસોમાં તા.૨૫ અને ૨૬ના દિવસે બેંક હડતાળના કારણે ચાર દિ’ બેંક બંધ
જામનગરમાં એસબીઆઇ કર્મચારીઓની હડતાળને કારણે બેંકો બંધ રહેતા કરોડોનું કલીયરીંગ અટકશે
અવાર નવાર બેંકો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે છે, જાહેર ક્ષેત્રની સૌથી મોટી ગણાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વર્ષો જુની પડતર માંગણીને અનુસંધાને ફરીથી આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવતા ઓલ ઇન્ડીયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સ્ટાફ ફેડરેશન દ્વારા અપાતા એલાનને પગલે તા.૨૩ અને ૨૪ શનિ-રવિની રજા અને ત્યારબાદ તા.૨૫ અને ૨૬ બેંક કર્મચારીઓની હડતાળને કારણે સતત ચાર દિવસ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખાના સૌરાષ્ટ્રનાં ૭ હજાર કર્મચારીઓ હડતાળ પાડશે. જામનગરમાં વેપારીઓનાં અને અન્ય લોકોનાં થઇને રૂ. ૧૦૦ કરોડના ચેકનું કલીયરીંગ નહિં થાય, શુક્રવારે બેંકમાં નાખેલો ચેક છેક બુધવારે પાસ થશે.
કર્મચારીઓની માંગણીમાં છેલ્લા ૨૯ વર્ષથી પ્યુનની ભરતી થઇ નથી ઉપરાંત સશસ્ત્ર ગાર્ડની ભરતી, એનપીએસ કર્મચારીઓને પેન્શન ફંડ, મેનેજર બદલવાની સુવિધા, ૨૦૧૯ પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે ઇન્ટર સર્કલ ટ્રાન્સફર ફરી શરૂ કરવા, કાયમી કામોનાં આઉટ સોર્સીગ પર રોક લગાવવી ઉપરાંત વેતન સમાનતા, મેડીકલ રીઇર્મ્પસમેન્ટ સ્કીમમાં સુધારા સહિતની ૧૫ જેટલી માંગણીઓને કારણે બે દિવસ બેંક બંધ રહેશે.
જામનગરમાં બ્રાસ ઉદ્યોગનો મોટુ કામકાજ હોય છે, અન્ય વેપારીઓ પણ ચેકથી વહેવાર કરતા હોય છે ત્યારે બે દિવસની રજા અને ત્યારબાદ બે દિવસની હડતાળને કારણે કરોડો રૂપિયાનું કલીયરીંગ અટકી પડશે.