શું તમે જાણો છો? ભારતમાં એક નહી પરંતુ પાંચ વખત ઉજવાઇ છે નવું વર્ષ

  • January 02, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્ષ 2024ને આવકારવા માટે વિશ્વભરમાં ખાસ આયોજનો અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી એ કોઇ મોટા તહેવાર કરતા ઓછી નથી હોતી. નવું વર્ષ નવી આશા લઇને આવતું હોય છે. ત્યારે લોકો તેમની પંરપરા અને રિવાજોને ધ્યાનમાં રાખી અને તેમની ઇચ્છા અનુસાર ઉજવણી કરતા હોય છે. આમ તો વિશ્વના મોટાભાગના દેશોમાં ખ્રિસ્તીઓનું નવું વર્ષ ઉજવવાની પરંપરા રહી છે. ખ્રિસ્તી વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના 12 મહિનાઓમાં વહેંચાયેલું હોય છે. પરંતુ વિશ્વના વિવિધ ધર્મોને અનુસરતા લોકો અલગ-અલગ તારીખ, મહિનો કે તિથિને ધ્યાનમાં રાખી નવા વર્ષની ઉજવણી કરે છે. જો કે, 1 જાન્યુઆરીએ, વિશ્વભરમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક નહીં પરંતુ 5 વખત નવું વર્ષ ઉજવવામાં આવે છે.


ખ્રિસ્તીઓનું નવું વર્ષ

સૌથી પહેલા ખ્રિસ્તીઓના નવા વર્ષની વાત કરવામાં આવે તો, 1 જાન્યુઆરીથી નવા વર્ષની ઉજવણી કરવાની શરૂઆત 15 ઓક્ટોબર 1582થી થઈ હતી. તેના કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર છે. એવું માનવામાં આવે છે કે જુલિયસ સીઝરે ઇસા પૂર્વ 45માં વર્ષે જુલિયન કેલેન્ડર બનાવ્યું હતું. ત્યારથી ખ્રિસ્તીઓનું નવું વર્ષ ઉજવવાની પરંપરા છે.


હિન્દુઓનું નવું વર્ષ

ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાથી હિંદુઓના નવા વર્ષનો આરંભ માનવામાં આવે છે. નવા સંવત્સરનો પણ આ દિવસથી પ્રારંભ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માજીએ આ દિવસથી સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી. તે ભારતના ઘણા વિસ્તારોમાં ગુડી પડવા, ઉગાડી વગેરે નામોથી ઉજવવામાં આવે છે.


પંજાબીઓનું નવું વર્ષ

પંજાબમાં નવા વર્ષને વૈશાખીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. વૈશાખીનો આ તહેવાર માર્ચ કે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, તમામ ગુરુદ્વારાઓમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે.


જૈનોનું નવું વર્ષ

તમને જણાવી દઈએ કે જૈન સમુદાયના લોકો દિવાળીના બીજા દિવસથી તેમનું નવું વર્ષ ઉજવે છે. જેને વીર નિર્વાણ સંવત પણ કહેવામાં આવે છે. જૈનો આ દિવસથી તેમનું નવું વર્ષ ઉજવે છે.


પારસીઓનું નવું વર્ષ

પારસી ધર્મના નવા વર્ષને નવરોઝ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે નવરોઝ 19મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે. શાહ જમશેદજીએ 3 હજાર વર્ષ પહેલા નવરોઝની ઉજવણી શરૂ કરી હતી.


તો વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો રહેતા હોય, દેશમાં નવા વર્ષની ઉજવણી માત્ર એક વખત નહી પરંતુ એકથી વધુ વખત કરવામાં આવતી હોય છે અને એ પણ રિતરિવાજો, પરંપરા અને માન્યતાઓને ધ્યાનમાં રાખી કરવામાં આવતી હોય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application