જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજા સબબ યુવાનનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ છે, જયારે તાલુકાના ગઢકઢા ગામમાં ઝેરી જનાવર કરડી જતા એક મહિલાનો ભોગ લેવાયો છે.
જામજોધપુરના ઇશ્ર્વરીયા ગામમાં રહેતા ખેતીકામ કરતા મુકેશભાઇ ભીખાભાઇ બડીયાવદરા (ઉ.વ.૩૬) નામનો યુવાન ગામમાં આવેલી હેમતભાઇ બગડાની વાડીએ મગફળી કાઢતા હતા, એ વેળાએ અકસ્માતે થ્રેસર મશીનમાં આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ભીખાભાઇ બડીયાવદરા દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
અન્ય બનાવમાં જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતા રેમતબેન ઇરફાનભાઇ ઉન્નડ (ઉ.વ.૪૩) નામના મહિલા ગત તા. ૧૩ના રોજ પોણાબાર વાગ્યાના સુમારે ઘરેથી તેમની બકરીઓ માટે ઘાસચારો લેવા વાડીના શેઢે ગયા હતા, એ દરમ્યાન કોઇ ઝેરી જનાવર પગની પેની પાસે કરડી જતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે ઇરફાન ઉમરભાઇ ઉન્નડએ શેઠવડાળા પોલીસમાં જાણ કરી હતી.